રાજકોટમાં કોરોનાનું સંક્રમણ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ-ડીનની ચૂંટણી જાહેર કરાઈ
રાજકોટઃ રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે, જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની સ્થિતિ કફોડી છે. ત્યારે રાજ્યમાં જુદી જુદી ચૂંટણીઓ પણ મોકૂફ રાખવા ચૂંટણીપંચે આદેશ કર્યો છે. ગાંધીનગર કોર્પોરેશન અને રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી પણ મોકૂફ રાખી છે તેમ છતાં આગામી મે મહિનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ અને બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણી યોજશે. જેમાં 200થી વધુ સેનેટ સભ્યો અને 28 જેટલા ભવનના વડા પ્રત્યક્ષ રીતે મતદાન કરશે.
યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગના સેનેટ હોલમાં જ મતદાન સહિતની ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરાયું છે જેમાં સેનેટ સભ્યો સૌરાષ્ટ્રભરમાંથી આવશે. એકસાથે 200થી વધુ સેનેટ સભ્યો એકઠા થવાને પગલે સંક્રમણ ફેલાવવાની પ્રબળ સંભાવના હોવાની ચર્ચા યુનિવર્સિટી કેમ્પસમાં અત્યારથી થઇ રહી છે.અને ચૂંટણી મુલત્વી રાખવાની માગ ઊઠી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આગામી 18 મેના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે બપોરે 1 થી 3:30 દરમિયાન સિન્ડિકેટની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્ર સ્વીકારવાનો છેલ્લો દિવસ 21 એપ્રિલ છે. ઉમેદવારી પત્ર પાછો ખેંચવાનો છેલ્લો દિવસ 22 એપ્રિલ અને ત્યારબાદ 24મી એપ્રિલના રોજ સિન્ડિકેટના તમામ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવશે. સિન્ડિકેટની ચૂંટણીનું પરિણામ પણ મતદાનના દિવસે જ જાહેર થઈ જશે. આ ચૂંટણી મુલત્વી રાખવાની માગણી થઈ છે.