ઝારખંડ: સારંડાના જંગલોમાં નક્સલીઓનો હુમલો, 5 જવાન ઘાયલ
નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ઝારખંડના અતિ નક્સલ પ્રભાવિત સારંડા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો પર નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે. મનોહરપુર પ્રખંડના છોટાનાગરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાલીબા ગામ પાસે નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા આઈઈડી બ્લાસ્ટ અને ત્યારબાદ થયેલા ગોળીબારમાં સુરક્ષા દળોના પાંચ જવાન ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે.
મળતી માહિતી મુજબ, સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે સર્ચ ઓપરેશન દરમિયાન સામસામે મુઠભેડ થઈ હતી. આ દરમિયાન નક્સલીઓએ અગાઉથી જ પ્લાન્ટ કરેલા આઈઈડીમાં વિસ્ફોટ કર્યો હતો. આ પ્રચંડ બ્લાસ્ટમાં કોબ્રા બટાલિયન 205 ના ઇન્સ્પેક્ટર સત્ય પ્રકાશ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે અન્ય ચાર જવાનો એન્કાઉન્ટર દરમિયાન ગોળી વાગવાથી જખ્મી થયા હોવાનું જાણવા મળ્યું છે.
ચાઈબાસાના એસપી અમિત રેણુએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ હુમલો નક્સલીઓનું એક સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે. ઘટનાની ગંભીરતાને જોતા તમામ ઘાયલ જવાનોને તાત્કાલિક એરલિફ્ટ કરીને રાંચી લાવવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ જવાનોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે.
હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સારંડાના ગાઢ જંગલોમાં વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને નક્સલીઓને જડબાતોડ જવાબ આપવા માટે મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અને અર્ધલશ્કરી દળોના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી નક્સલીઓના કોઈ પણ નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવી શકાય.
આ પણ વાંચોઃ નાણાકીય ગુનેગારોની હવે ખેર નથી, FIU-IND અને SEBI વચ્ચે ઐતિહાસિક સમજૂતી


