ચંદીગઢ મેયર ચૂંટણીના અધિકારી રહેલા અનિલ મસીહે હવે સુપ્રીમ કોર્ટની માફી માંગી લીધી છે, ગડબડનો હતો આરોપ
નવી દિલ્હી: કેન્દ્રશાસિત ચંદીગઢના મેયરની ચૂંટણીમાં અધિકારી રહેલા અનિલ મસીહે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી લીધી છે. તેમના પર આરોપ હતો કે મેયર ચૂંટણી દરમિયાન તેમણે બેલેટ પેપર્સ સાથે છેડછાડ કરી દીધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હારેલા ઘોષિત કર્યા હતા. તેમના આ નિર્ણયને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, તેના પછી કોર્ટે ચુકાદો પલટી નાખ્યો હો. એટલું જ નહીં કોર્ટે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈને કહ્યું હતું કે અનિલ મસીહ કેમેરા તરફ જોઈ રહ્યા હતા અને કાગળો પર કંઈક લખી રહ્યા હતા, જ્યારે તેમની પાસે કંઈ કરવાનો અધિકાર ન હતો. આ આધારે કોર્ટે માન્યું હતું કે ચૂંટણીમાં ગડબડ થઈ છે. હવે અનિલ મસીહે માફી માંગી લીધી છે.
અનિલ મસીહ તરફથી સીનિયર એડવોકેટ મુકુલ રોહતગી કોર્ટમાં રજૂ થયા. તેમણે ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠને કહ્યું કે મસીહ માફી માંગી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે અમે માફી માંગીએ છીએ. મેં તેમની સાથે લાંબી વાત કરી છે. આ એફિડેવિવટ દાખલ કરીશું અને માફી માંગશું.
હવે આ મામલાની સુનાવણી જુલાઈના બીજા સપ્તાહમાં કરવામાં આવશે. કોર્ટે આ મામલાની સુનાવણી કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચુકેલા કુલદીપકુમારને જ મેયર બનાવવાનો નિર્ણય આપ્યો હતો, જેમને હારેલા ઘોષિત કરવામાં આવ્યા હતા.