1. Home
  2. Dharma-ધર્મ
  3. રામ મંદિરના દાનની ચોરી અંગે RSSનો પ્રથમ પ્રતિભાવ આવ્યો, જુઓ વીડિયો
રામ મંદિરના દાનની ચોરી અંગે RSSનો પ્રથમ પ્રતિભાવ આવ્યો, જુઓ વીડિયો

રામ મંદિરના દાનની ચોરી અંગે RSSનો પ્રથમ પ્રતિભાવ આવ્યો, જુઓ વીડિયો

0
Social Share

નાગપુર, 3 જુલાઈ, 2026 – રામ મંદિરના દાનની ચોરી અંગે RSS દ્વારા પ્રથમ વખત સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો છે. આરએસએસના સરકાર્યવાહે આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા સંઘનો પ્રતિભાવ જાહેર કર્યો છે. આ વીડિયો સંદેશાની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે હિન્દુ સમાજને સનાતન વિરોધી પરિબળોનાં કાવતરાં સામે સાવધાન રહેવા અને દાનની ચોરીના કેસમાં તપાસના પરિણામની ધીરજપૂર્વક રાહ જોવા અપીલ કરી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરકાર્યવાહ (મહાસચિવ) દત્તાત્રેય હોસબોલે દ્વારા બહાર પાડવામાં આવેલું નિવેદન આ મુજબ છેઃ

શ્રી રામ જન્મભૂમિ પર નિર્માણ પામેલું ભવ્ય મંદિર પેઢીઓના સંઘર્ષ અને કરોડો રામભક્તોના સમર્પણ, ત્યાગ અને બલિદાનને કારણે સમગ્ર હિન્દુ સમાજ માટે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. અયોધ્યામાં શ્રી રામ લલ્લા મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીઓમાં ચોરીની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર સમાજ અને રામ ભક્તોની લાગણીઓ અને આસ્થાને ઊંડી ઠેસ પહોંચી છે; આ ઘટનાથી આપણે સૌ અત્યંત દુઃખી અને ક્રોધિત છીએ.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની હાર્દિક વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકારે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી અને તેની ભલામણોના આધારે કાનૂની કાર્યવાહી શરૂ કરી. તપાસ બાદ જે કોઈ દોષિત સાબિત થાય તેને સખત સજા થાય તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત સમગ્ર હિન્દુ સમાજ ટ્રસ્ટ પાસે એવી અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે કે તેઓ આ અત્યંત નિંદનીય ઘટનાને એક અસાધારણ બાબત તરીકે ગણે અને મંદિરના સંચાલન તથા વ્યવસ્થાપનની તમામ ખામીઓને સુધારવા માટે અસરકારક પગલાં ભરે. અયોધ્યા મંદિરમાં કરોડો રામ ભક્તોની આસ્થા અને શ્રદ્ધા અતૂટ અને અડગ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

જુઓ વીડિયો

હાલની મૂંઝવણ અને અનિશ્ચિતતાની સ્થિતિનો અંત આવવો જ જોઈએ. આ સંદર્ભમાં અમે મંદિર પ્રબંધન અને સરકાર દ્વારા નિયુક્ત SIT પાસે તમામ જરૂરી પહેલ કરવાની અપેક્ષા રાખીએ છીએ. અમને વિશ્વાસ છે કે યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન, દોષરહિત અને પારદર્શક સંચાલન પ્રણાલી, અને પવિત્રતા, શુદ્ધતા તથા સાચી ધાર્મિકતાથી ભરેલા વાતાવરણ દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હિન્દુ સમાજની શ્રદ્ધા અને વિશ્વાસને મજબૂત કરવાનું ચાલુ રાખશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર હિન્દુ સમાજને પણ આહવાન કરે છે કે તેઓ આ મુશ્કેલ ક્ષણે જરૂરી ધૈર્ય અને સંયમ રાખે અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો દુરુપયોગ કરીને હિન્દુ ધર્મ અને સમાજને બદનામ કરવા માંગતી હિન્દુ-વિરોધી અને રાષ્ટ્ર-વિરોધી શક્તિઓના ષડયંત્રોને નિષ્ફળ બનાવે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code