
- હાઈવે પર કણજોતર ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
- અકસ્માતની જાણ થતાં ગ્રામજનો અકસ્માત જોવા દોડી ગયા હતા
- લોકો રોડ પર ઊભા હતા ત્યારે પૂરફાટ ઝડપે ડમ્પરે લોકોને કચડ્યા
રાજકોટઃ નેશનલ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વેરાવળ-કોડિનાર હાઈવે પર કણજોતર ગામ નજીક રાખેજના પાટિયા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઈકોકાર અને બાઈક વચ્ચે રાતના સમયે અકસ્માત સર્જાતા આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા હતા. અને લોકો રોડ પર ટોળે વળીને ઊબા હતા ત્યારે પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે લોકોના ટોળાં પર ડમ્પર ચડાવી દેતા નાસભાગ મચી ગઈ હતી. ડમ્પરની અડફેટે 5થી વધુ લોકોને ઈજાઓ થઈ હતી. જેમાં બેના મોત નિપજ્યા છે.
વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક ગત રાત્રે રાખેજ પાટિયા પાસે ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન આ અકસ્માતને લઇ ઘટનાસ્થળે ગ્રામજનોનું ટોળું એકઠું થયું હતું. એ જ સમયે ઓવરસ્પીડમાં વેરાવળથી કોડીનાર તરફ જઈ રહેલા ડમ્પરે રોડની સાઈડમાં અકસ્માત જોવા ઊભેલા પાંચથી વધુ લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. જ્યારે સાતથી વધુ લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગતરાત્રિના લગભગ 9:30 વાગ્યે રાખેજ પાટિયા પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માતને જોવા માટે ઊભેલા લોકોને પૂરપાટ આવી રહેલા ડમ્પરે કચડી નાખ્યા હતા. જેમાં બેના મોત નિપજ્યા છે.
કણઝોતરના ગ્રામજનોના કહેવા મુજબ અડધો કલાક પહેલાં જ એક અકસ્માત બન્યો હતો. જેમાં એક કાર અને બાઇક અથડાયાં હતાં. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો ઘટનાસ્થળ પર એકઠા થઇ ગયા હતા. તે લોકો ઊભા-ઊભા આ અકસ્માતને જોઇ રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી એક ટ્રેક્ટર પસાર થઇ રહ્યું હતું. જેને પૂરપાટ આવી રહેલા એક ડમ્પરે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેથી અકસ્માત જોવા ઊભેલા લોકો તેની નીચે કચડાઇ ગયા હતા. જેમાં બે લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે. આ ઘટના બનતા અફરાતફરી સર્જાઇ હતી.આ અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુભાઈ કલોતરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે સાતથી વધુ લોકોને સારવાર અર્થે કોડીનારની રાણાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ઈનચાર્જ PI એન.બી. ચૌહાણ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.