
- અમદાવાદથી દીવ એક કલાકમાં પહોંચાશે
- 1499 રૂપિયામાં ખાસ પ્રમોશનલ ભાડાની ઓફર
- અમદાવાદથી સવારે 9.50 કલાકે ફલાઈટ ઉડાન ભરશે,
અમદાવાદઃ ગુજરાતના લોકો હરવા-ફરવા શોખીન હોય છે. અને ઉનાળાના વેકેશન દરમિયાન મોટાભાગના લોકો ફરવા માટે જતા હોય છે. આ વખતે કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. એટલે ગુજરાત લોકો હવે નજીકમાં ફરવાના સ્થળોની પસંદગી કરી રહ્યા છે. ત્યારે ઉડાન યોજના હેઠળ અમદાવાદથી દીવની ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં 1499 રૂપિયાના ખાસ પ્રમોશનલ ભાડાની પણ ઓફર કરવામાં આવી છે. જે એક કલાકમાં અમદાવાદથી દીવ પહોંચી શકાશે. આ ઉડાન યોજનાથી પ્રવાસીઓને સારોએવો લાભ મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાદેશિક ઉડ્ડયન સેવાને મજબૂત કરવા સાથે દીવે સ્ટાર ડેસ્ટિનેશનમાં 25મું સ્થાન મેળવ્યું છે. દીવમાં NRI લોકો વધુ હોવાના કારણે વારંવાર પાસપોર્ટના કામ માટે ગોવા જવાનું હોવાથી આ ફ્લાઇટથી લોકોને રાહત મળી છે. અમદાવાદથી દીવની આ ફ્લાઇટ અમદાવાદથી સવારે 9:50 વાગ્યે ઉપડશે અને 10:50 વાગ્યે દીવમાં લેન્ડ થશે. દીવથી પરત ફરતી વખતે ફ્લાઇટ સવારે 11:20 વાગ્યે ઉપડશે અને બપોરે 12:20 વાગ્યે અમદાવાદ પહોંચશે. અમદાવાદથી દીવ રોડ રસ્તે 7કલાક જેટલો સમય લાગે છે. જ્યારે ફલાઈટમાં માત્ર એક કલાકમાં દીવ પહોંચી શકાશે.
આ સર્વિસ માટે સ્ટાર એરના 50-સીટવાળા એમ્બ્રેર ERJ-145 વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ‘ઉડે દેશ કા આમ નાગરિક (UDAN)’ યોજના હેઠળ આ નવા રૂટની શરુઆત કરવામાં આવી છે.