1. Home
  2. ગુજરાતી
  3. ગણેશ મહોત્સવઃ જગવિખ્યાત લાલબાગ ચા રાજાની પહેલી ઝલક જોવા મળી
ગણેશ મહોત્સવઃ જગવિખ્યાત લાલબાગ ચા રાજાની પહેલી ઝલક જોવા મળી

ગણેશ મહોત્સવઃ જગવિખ્યાત લાલબાગ ચા રાજાની પહેલી ઝલક જોવા મળી

0
Social Share

મુંબઈઃ લાલબાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી છે. જેમાં ગણપતિ બાપ્પાના હાથમાં ચક્ર, માથા પર મુગટ અને જાંબલી વસ્ત્રોમાં ભવ્ય દર્શન થઇ રહ્યા છે. 27 ઓગષ્ટથી દેશભરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. ત્યારે મુંબઈના જગવિખ્યાત લાલબાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી છે. હાથમાં ચક્ર, માથા પર મુગટ અને જાંબલી વસ્ત્રોમાં ગણપતિ બાપ્પાના ભવ્ય દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે. લાલબાગચા રાજાની પ્રથમ ઝલકનું વિશેષ મહત્વ રહેલું છે. ગણેશ ઉત્સવની શરૂઆત લાલબાગચા રાજાની પ્રથમ ઝલકથી થાય છે, જેને મરાઠીમાં ‘શિવિરંબમ’ કહેવાય છે. આ માત્ર એક ફોટોગ્રાફ નહીં, પરંતુ ભક્તોની શ્રદ્ધા, આશા અને ભક્તિનું પ્રતીક છે. આ મૂર્તિને “નવસાચા ગણપતિ” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ જ કારણથી, દર વર્ષે લાખો ભક્તો તેમના દર્શન કરવા માટે દૂર-દૂરથી આવે છે અને ક્યારેક 40 કલાક સુધી લાઈનમાં ઊભા રહે છે.

આ વર્ષે લાલબાગના બાપ્પા જાંબલી રંગના મલમલના વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા છે, જે અત્યંત આકર્ષક લાગે છે. તેમના વસ્ત્રોની સુંદરતા વધારવા માટે, ગળામાં ત્રણ રંગોથી બનેલી માળા પહેરાવવામાં આવી છે. બાપ્પાના હાથમાં રહેલું ચક્ર પણ ખૂબ જ સુંદર રીતે બે રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ વર્ષે તેમનો દિવ્ય મુગટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગયા વર્ષે 20 કિલો સોનાના મુગટનો ઉપયોગ થયો હતો, જે દર્શાવે છે કે આ વર્ષે પણ સજાવટમાં કોઈ કસર છોડવામાં આવી નથી.

હિન્દુ ધર્મમાં ભાદ્રપદ મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 27 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી છે. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે, જે દરમિયાન ગણેશજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે, પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ભક્તિભાવપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. લાલબાગચા રાજાના પ્રથમ દર્શન ભક્તોમાં આ ઉત્સાહને વધુ વેગ આપશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code