
મધ્ય પૂર્વી દેશ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ વધુને વધુ તીવ્ર બનતો જાય છે. આતંકી ઠેકાણાનો નાશ કરવાથી જે શરૂઆત થઇ હતી તે હવે ઘરો અને હોસ્પિટલો સુધી પહોચી ગઈ છે. ત્યારે ફરી એકવાર ગાઝામાં ગોળીબારનો વરસાદ વરસ્યો હતો. જેમાં 32 લોકોના કરુણ મોત નીપજ્ય છે તો 232 લોકો ગંભીર રીતે ઘાયલ કે પછી ઘાયલ થયા છે. સ્થિતિ એવી છે કે અત્યારે ગાઝામાં હોસ્પિટલોમાં દર્દી માટે કોઈ જગ્યા ખાલી નથી. ત્યારે ફરી એકવાર ગાઝાએ આ હુમલા માટે ઇઝરાયેલ ને જવાબદાર ગણાવ્યું છે.
છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી આ બે દેશ વચ્ચે સંઘર્ષમાં 55000 થી વધુ લોકો મોતને ભેટ્યા છે. લાખો લોકો ઘાયલ થયા છે. અનેક લોકો એવા છે કે જેમણે આ યુધ્ધમાં હાથ પગ કે શરીરનો અન્ય ભાગ કાયમ માટે ગુમાવ્યો હોય. ત્યારે તાજેતરમાં આવી જ એક ઘટના બની હતી જેમાં રાહત શિબિરોમાં જમવાનું આપવાનું કામ ચાલતું હતું ત્યારે અચાનક અંધાધુંધ ગોળીબારમાં ઓછામાં ઓછા 32 પેલેસ્ટિનિયનોના મોત થયા હતા.
ગાઝાના રાજ્ય મીડિયા કાર્યાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલી દળોએ દક્ષિણ ગાઝા શહેર રફાહમાં એક સહાય વિતરણ કેન્દ્ર નજીક ગોળીબાર કર્યો હતો. આમાં 31 લોકોના મોત થયા હતા જ્યારે 200 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત, મધ્ય ગાઝાના નેત્ઝારીમ કોરિડોરમાં એક સહાય કેન્દ્ર પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આમાં એક પેલેસ્ટિનિયન વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. ગાઝામાં ભોજન વિતરણનું કામ એક અમેરિકન એજન્સી GHF દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.ત્યારે આ ઘટના બની હતી.
જોકે, ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે સહાય વિતરણ કેન્દ્ર નજીક તેના સૈનિકો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં કોઈ ઘાયલ થયાની તેમને જાણ નથી. સેનાએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અલ-જઝીરાના અહેવાલ મુજબ, 27 મે થી 1 જૂન દરમિયાન ગાઝામાં ખોરાક વિતરણ દરમિયાન થયેલા ગોળીબારમાં 49 લોકોના મોત થયા છે. તે જ સમયે 300થી વધુ લોકો ઘાયલ થયા છે.
પેલેસ્ટાઇન રેડ ક્રેસન્ટના એક આરોગ્ય કાર્યકરએ જણાવ્યું હતું કે ગોળીબાર શરૂ થયો ત્યારે રફાહ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ખોરાક લેવા માટે એકઠા થયા હતા.દરમિયાન, ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કુલ 179 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 30 લોકોની હાલત ગંભીર છે.
ઘણા બધા લોકો ઘાયલ થવાથી હોસ્પિટલો ખીચોખીચ ભરાઈ ગઈ હતી. તો અને ઇમરજન્સી વોર્ડ, ઓપરેશન થિયેટર અને ICUમાં જગ્યાની અછત છે. GHF નામના આ સંગઠનને અમેરિકા અને ઇઝરાયલનું સમર્થન છે. ઇઝરાયલે હમાસ પર ગાઝામાં આવતી સહાય ચોરી કરવાનો અને વેચવાનો આરોપ લગાવ્યા બાદ આ સંગઠન શરૂ કરવામાં આવ્યું હતું.
માનવાધિકાર જૂથો અને સંયુક્ત રાષ્ટ્રોએ કહ્યું છે કે આના કોઈ નક્કર પુરાવા નથી, ઇઝરાયલે જાહેરમાં કોઈ પુરાવા આપ્યા નથી. યુએન સહાય એજન્સીઓએ GHFના સહાય પહોંચાડવાના અભિગમની ટીકા કરી છે.
તેમનું કહેવું છે કે આ પદ્ધતિ માનવતાવાદી નિયમોનું ઉલ્લંઘન કરે છે અને પેલેસ્ટિનિયનોને જોખમમાં મૂકે છે. તાજેતરના દિવસોમાં હજારો ભૂખ્યા લોકો GHF વિતરણ કેન્દ્રો પર પહોંચ્યા ત્યારે અરાજકતા ફેલાઈ ગઈ, જેના કારણે ઇઝરાયલ અને GHFની વધુ ટીકા થઈ.
GHFએ છેલ્લા છ દિવસમાં લગભગ 4.7 મિલિયન ફૂડ પેકેટ પૂરા પાડ્યા હોવાનો દાવો કર્યો છે અને ફક્ત રવિવારે જ 16 ટ્રક દ્વારા 887,000થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ બધું કોઈપણ મુશ્કેલી વિના કરવામાં આવ્યું હતું અને મૃત્યુ કે ઈજાના અહેવાલો ખોટા અને બનાવટી હતા.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસ સામે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. 24-25 મે, 2025ના રોજ પણ એક મોટો હવાઈ હુમલો ગાઝા પર કરવામાં આવ્યો હતો જેમાં બાળકો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા 182 પેલેસ્ટિનિયન માર્યા ગયા.
છેલ્લા એક અઠવાડિયામાં ઇઝરાયલી સેનાના હુમલામાં 500થી વધુ લોકો માર્યા ગયા છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ શરૂ થયેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં 55,000થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જેમાં હજારો બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો જેમાં 815 નાગરિકો સહિત 1,195 ઇઝરાયલી અને વિદેશી નાગરિકો માર્યા ગયા હતા. હમાસે 251 ઇઝરાયલીઓને બંધક બનાવ્યા. હમાસે આ હુમલો ઇઝરાયલી કબજાનો અંત લાવવા, ગાઝાની નાકાબંધી અને હજારો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની માગ સાથે કર્યો હતો.
27 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલે ગાઝા પર બોમ્બમારો કરી અને જમીન પર હુમલો કરીને જવાબ આપ્યો. ઇઝરાયલ કહે છે કે તેનું લક્ષ્ય હમાસનો નાશ કરવાનું અને બંધકોને મુક્ત કરવાનું છે.આ યુદ્ધમાં 55 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા, જેમાંથી મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. ઇઝરાયલમાં 1200થી વધુ લોકો માર્યા ગયા. ગાઝામાં 80% લોકો વિસ્થાપિત થયા છે અને મોટાભાગની જાહેર માળખાકીય સુવિધાઓનો નાશ થયો છે.