ભ્રષ્ટાચારના કેસમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પર વિચારણા કરવી જોઈએઃ અલ્હાબાદ હાઈકોર્ટ
પ્રયાગરાજ, 22 જુલાઈ 2026: અલાહાબાદ હાઈકોર્ટે રામ મંદિરના ચઢાવા (દાન)ની ચોરીના પ્રકરણ અને વધતા જતા ભ્રષ્ટાચાર પર અત્યંત કડક ટિપ્પણીઓ કરતા જણાવ્યું છે કે દેશમાં ભ્રષ્ટાચાર હવે એક સામાન્ય બાબત બની ચૂકી છે. અદાલતે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું કે, અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિર માટે આવેલા દાનમાં ચોરી થવાની ઘટના પણ દેશવાસીઓને શરમમાં મૂકી શકી નથી, જે સમાજમાં ઈમાનદારીના સૌથી નીચલા સ્તરને દર્શાવે છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે જો સરકાર ખરેખર ભ્રષ્ટાચાર પર લગામ કસવા માંગતી હોય, તો કાયદામાં યોગ્ય સંશોધન કરીને ગંભીર મામલાઓમાં મૃત્યુદંડ (ફાંસી) સુધીની સજાની જોગવાઈ કરવા પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.
જસ્ટિસ અતુલ શ્રીધરનની આગેવાની હેઠળની બેન્ચે હમીરપુરના કૈફુદ્દીન અને અન્યની અરજીઓની સુનાવણી દરમિયાન પોતાના ચુકાદામાં આ નોંધપાત્ર ટિપ્પણીઓ કરી હતી. અરજદારો દ્વારા બુલડોઝર કાર્યવાહી સામે રોક લગાવવા અને કાનૂની સંરક્ષણની માંગ કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી કરનાર ખંડપીઠમાં જસ્ટિસ સિદ્ધાર્થનંદ પણ સામેલ હતા, જેમણે કેટલાક મુદ્દાઓ પર પોતાની અલગ રાય વ્યક્ત કરી હતી.
ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરોની મિલીભગત
હાઈકોર્ટે જણાવ્યું કે, નગર નિગમ અને અન્ય સત્તાવાર પ્રાધિકરણોના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી જ ગેરકાયદે બાંધકામો ઊભા થાય છે. આ અધિકારીઓ લાંચ સ્વીકારીને જાણી જોઈને આંખો બંધ કરી દે છે અને જ્યારે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે તેનો ભોગ નિર્દોષ સામાન્ય ખરીદદારે બનવું પડે છે. કોર્ટે તાકીદ કરી કે ગેરકાયદે બાંધકામ કરાવનારા બિલ્ડરોની સાથે-સાથે તેમને ગેરકાયદે સંરક્ષણ પૂરતા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.
ભ્રષ્ટાચારના કારણે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ વધી: કોર્ટ
સમાજમાં ફેલાતી આર્થિક અસમાનતાનો ઉલ્લેખ કરતા અદાલતે કહ્યું કે ભ્રષ્ટાચારના કારણે કેટલાક ચોક્કસ લોકોના હાથમાં ગેરકાયદેસર રીતે સંપત્તિ એકત્રિત થઈ રહી છે, જેના પરિણામે સમાજમાં અમીર અને ગરીબ વચ્ચેની આર્થિક ખાઈ સતત ઊંડી થતી જાય છે. જો સમયસર આ પ્રવૃત્તિ પર અસરકારક અંકુશ નહીં મૂકવામાં આવે, તો ભવિષ્યમાં ગંભીર સામાજિક અસંતોષ અને અત્યંત વિકટ પરિસ્થિતિ પેદા થઈ શકે છે.
રામ મંદિરના દાન ચોરીના વિવાદનો ઉલ્લેખ
પોતાના 51 પાનાના વિસ્તૃત ચુકાદામાં જસ્ટિસ અતુલ શ્રીધરને ટાંક્યું કે રામ મંદિરના દાનમાં ચોરીનો વિવાદ એ “ઊંટની પીઠ પરનો આખરી તિનકો” સાબિત થયો છે. કોર્ટે કહ્યું કે જો આટલા સંવેદનશીલ અને પવિત્ર ધાર્મિક સ્થળે થયેલી દાનની ચોરીથી પણ સમાજનું અંતરાત્મા હચમચી જતું નથી, તો તે ઈમાનદારીના પતનની પરાકાષ્ઠા દર્શાવે છે.
હાઈકોર્ટે ચુકાદામાં ‘ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ 2025’ના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે મુજબ વિશ્વના 182 દેશોમાં ભારત 91મા સ્થાને છે, પરંતુ તેમ છતાં ભ્રષ્ટાચાર પ્રત્યે સમાજમાં અપેક્ષિત સંવેદનશીલતા જોવા મળતી નથી. જસ્ટિસ શ્રીધરને અભિપ્રાય આપ્યો હતો કે સમાજમાં ભ્રષ્ટાચાર એટલી ઊંડી અસર જમાવી બેઠો છે કે હવે સરકારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ (ભ્રષ્ટાચાર નિરોધક કાયદો)-1988માં સુધારો કરીને દોષિતોને મૃત્યુદંડ આપવા જેવા કડક પગલાં વિચારવા જોઈએ.
બુલડોઝર કાર્યવાહી અંગે મહત્ત્વપૂર્ણ નિર્દેશો
કોર્ટે મકાનો તોડી પાડવાની કાર્યવાહી (બુલડોઝર જસ્ટીસ) અંગે પણ મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. કોર્ટે જણાવ્યું કે કોઈપણ આરોપી વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયાના ઓછામાં ઓછા બે વર્ષ સુધી તેનું મકાન ધ્વસ્ત ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ કોઈ મકાનમાં છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી નિવાસ કરી રહી હોય, તો મકાન તોડતા પહેલાં ઓછામાં ઓછા એક વર્ષ અગાઉ નોટિસ આપીને વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો અવસર પૂરો પાડવો અનિવાર્ય છે.
જોકે, આ મુદ્દા પર જસ્ટિસ સિદ્ધાર્થનંદે અસહમતિ દર્શાવતા સ્પષ્ટ કર્યું હતું કે બંધારણની કલમ 226 હેઠળ હાઈકોર્ટ કોઈ નિશ્ચિત સમયસીમા (જેમ કે બે વર્ષ) નક્કી કરી શકે નહીં. તેમનું માનવું હતું કે આવી જોગવાઈથી ભવિષ્યમાં આરોપીઓ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે એફઆઈઆરનો દુરુપયોગ કરી શકે છે.


