
- પ્રકાશા ડેમમાંથી 23 લાખ અને હથનુર ડેમમાંથી 49 હજાર ક્યુસેક પાણી છોડાયું,
- ઉકાઈ ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલાયા, સપાટી 10 ફૂટ,
- તાપી નદીમાં પૂરની સ્થિતિ હોવાથી સુરતમાં બ્રિજ પર એકઠા ન થવા લોકોને અપીલ
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને પ્રકાશા અને હથનૂર ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની જળસપાટી 344.10 ફુટે પહોંચતા ફરીવાર ડેમના 12 દરવાજા 7 ફુટ ખોલીને 1.72 લાખ ક્યુસેક પાણી છોડાયુ છે. આથી તાપી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં સોમવારે દિવસભર 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈને દિવસભર ઝાપટાં પડ્યાં હતાં. ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઇ ડેમમાં દોઢ લાખ ક્યુસેક પાણીની આવક શરૂ થતાં સવારે 11 વાગ્યાથી સિઝનમાં પહેલીવાર 1.72 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલાયા છે. સોમવારે રાત્રે 8 કલાકે ડેમની સપાટી 344.10 ફૂટ હતી. ઇનફલો 2.07 લાખ ક્યુસેક હતો. પ્રકાશા ડેમમાંથી 2.23 લાખ ક્યુસેક અને હથનુર ડેમમાંથી 49 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જે ઉકાઇ ડેમમાં આવતાં આજે મંગળવારે પણ હેવી ઇનફલો રહ્યો હતો. શહેરમાં કોઝવેની સપાટી 8.80 મીટરે પહોંચી તાપી બે કાંઠે થઇ હતી. જો કે, બે લાખ ક્યુસેક સુધી પાણી છોડાય તો પણ શહેરના માથે પૂરની કોઇ સંભાવના નથી.
તાપી નદી પરના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઉકાઇ ડેમમાંથી 1.72 લાખ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે સુરત શહેરમાં તાપી નદી પરનો કોઝ-વે ઓવરફ્લો થયો છે. તાપી નદી બે કાંઠે હોવાથી શહેરીજનોને બ્રિજો પર બિનજરૂરી ભેગા નહીં થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉકાઈ ડેમમાંથી બે લાખ કયુસેક પાણી છોડવાની શક્યતા છે. શહેરના તાપી કિનારે તથા બ્રિજ પર ભેગા ન થઈ વાહન વ્યવહારમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.