
- ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા,
- મે. શિવ ઇન્ડસ્ટ્રીઝથી કૂલ 4 નમૂના અને મે. મહેશ્વરી પ્રોડક્ટસથી એક નમૂનો લેવાયો,
- ઘી બનાવવા માટે બટર તેમજ રીફાઇન્ડ પામોલીન ઓઇલનો ઉપયોગ કરાતો હતો
ગાંધીનગરઃ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમનના અધિકારીઓએ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના ગુલીયાના ખાતે આવેલાના બે એકમો પર દોરોડા પાડીને 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. જેની કિમત અંદાજે 13 લાખ રૂપિયા થાય છે. શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવવામાં આવતું હતું. જેમાં બટર અને રિફાઈન્ડ પામોલિન તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. અધિકારીઓએ ઘીના નમુલા લઈને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ખોરાક અને ઔષધ નિયમનના કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને શુધ્ધ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સુરેન્દ્રનગર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મે. શિવ ઇન્ડસ્ટ્રીઝ, સર્વે નંબર: 75/21, ચોટીલા રોડ, મુ. ગુગલીયાના. તા: થાનગઢ જી. સુરેન્દ્રનગર ખાતે સંયુક્ત તપાસ કરવામાં આલી હતી. જેમાં સ્થળ પર પેઢી ના જવાબદાર રાજેશભાઇ ભરતભાઇ ચાવડાને હાજર રહ્યા હતા, અને તેઓએ 10721021000213 નંબરથી લાઈસન્સની નકલ રજુ કરી હતી. સ્થળ પર રહેલ જથ્થા વિશે પૂછપરછ કરતા વેપારીએ હાલમાં પેઢીમાં તૈયાર કરેલ ઘી (શ્રી ભોગ બ્રાન્ડ), લુઝ ઘી, ઘી બનાવવા માટેના બટર તેમજ રીફાઇન્ડ પામોલીન ઓઇલ હાજરમાં હોવાનો સ્વીકાર કર્યો હતો. જે ખાદ્યચીજ ઘીમાં પ્રાથમિક દ્રષ્ટીએ ભેળસેળની શંકા જતા તંત્ર દ્વારા કાયદા હેઠળની કાર્યવાહી કરતા રાજેશભાઇ ભરતભાઇ ચાવડાની હાજરીમાં ઘી સહિત અન્ય ખાદ્યચીજના એમ કૂલ ચાર (૪) નમુના લેવામાં આવ્યા હતા. અને ઘીનો નમુનો લીધા બાદ બાકીનો આશરે 2700 કિગ્રા કે જેની અંદાજીત કિંમત આશરે રૂ.13 લાખથી વધુ થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. ઉક્ત લીધેલ તમામ 4 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતા.
આ ઉપરાંત, તંત્ર દ્વારા ઉક્ત વેપારીની અન્ય પેઢી મે. મહેશ્વરી પ્રોડક્ટસ એન્ડ કેમીકલ્સ, મુ. ગુગલીયાના. તા: થાનગઢ જી. સુરેન્દ્રનગર ખાતે તપાસ કરતા સ્થળ પરથી રીફાઇન્ડ પામોલીન ઓઇલની હાજરી જોવા મળી હતી, જેનો હાજર જવાબદાર રાજેશભાઇ ભરતભાઇ ચાવડાની હાજરી માં નમૂનો લેવામાં આવ્યો હતો જે ચકાસણી અર્થે લેબોરેટરી માં મોકલી આપવમાં આવેલ છે.
આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.