
પંચકુલમાં એક પરિવારના 6 સભ્યોએ કરી સામુહિક આત્મહત્યા, દેવુ વધી જતા અંતિમ પગલું ભર્યું
નવી દિલ્હીઃ પંચકુલામાં રાત્રે એક જ પરિવારના સાત સભ્યોએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકોમાં દંપતી, ત્રણ બાળકો અને પરિવારના વૃદ્ધ સભ્યોનો સમાવેશ થાય છે. બધાના મૃતદેહ એક કારમાંથી મળી આવ્યા હતા. આ પરિવાર દેહરાદૂનના કૌલાગઢનો રહેવાસી હતો. મૃતકોમાંથી બેની ઓળખ પ્રવીણ મિત્તલ અને તેમના પિતા દેશરાજ મિત્તલ તરીકે થઈ છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે ડાયલ 112 પર માહિતી મળી હતી કે ઘર નંબર 1204 ની બહાર પાર્ક કરેલી કારમાં કેટલાક લોકોએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કારમાં સવાર છ લોકોને સેક્ટર-26 ની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતો. ઘર પાસે એક વ્યક્તિ કણસતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ ટીમ તેને સારવાર માટે સેક્ટર-6 સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. મૃતકોની ઓળખ પ્રવીણ મિત્તલ અને તેમના પિતા દેશરાજ મિત્તલ અને તેમના પરિવારના સભ્યો તરીકે થઈ છે.
માહિતી મળતાં જ ડીસીપી હિમાદ્રી કૌશિક અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રવીણ મિત્તલે થોડા સમય પહેલા દેહરાદૂન ખાતે ટૂર અને ટ્રાવેલનો વ્યવસાય શરૂ કર્યો હતો જે ફૂલ્યોફાલ્યો નહીં. તેમાં તેમને મોટું નુકસાન થયું હતું. આ કારણે પરિવાર દેવામાં ડૂબી ગયો હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે અને આ દુ:ખદ ઘટનાથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.