
- અસહ્ય તાપમાનને લીધે જળાશયોની સપાટીમાં થયો ઘટાડો
- સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં જળસ્તર 46 ટકા
- ઘણબધા ગામડાંઓમાંટેન્કરથી પહોંચાડાતું પાણી
અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. અને તમામ જળાશયો ભરાયા હતા. પણ હાલ ઉનાળાના અસહ્ય તાપમાનને લીધે જળાશયોમાં પાણી ઘટલી લાગ્યું છે. રાજ્યના 54 જળાશયોમાં જળસ્તર હવે 10 ટકાથી પણ ઓછું છે. એટલુ જ નહીં 6 જળાશયો સંપૂર્ણપણે ખાલીખમ થઈ ગયા છે. સતત ઘટતાં જળસ્તરને પગલે ખાસ કરીને અનેક ગ્રામ્ય વિસ્તારો હવે ટેન્કર પર નિર્ભર બન્યા છે. જોકે સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પુરતી જળરાશી હોવાથી ચોમાસા સુધી પાણીની કોઈ મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ નથી.
ગુજરાતમાં ગત વર્ષે 17 મે સુધીમાં 43 ટકા જળસ્તર હતું. જેની સરખામણીએ આ વખતે જળસ્તરની સ્થિતિ આંશિક સારી છે. હાલ 70 ટકાથી વધુ જળસ્તર હોય તેમાં જળાશયોમાં રાજકોટના આજી-2, ભાદર-2, ન્યારી-2, મોરબીના મચ્છુ-2, મહિસાગરના વણાકબોરી, સુરેન્દ્રનગરના ધોળી ધજા, કચ્છના કાલાઘોઘા, જુનાગઢના ઓઝત-વીર, છોટા ઉદેપુરના સુખી, ભરૂચના ધોળીનો સમાવેશ થાય છે. જ્યારે કચ્છમાં સૌથી ઓછું 30.08 ટકા જળસ્તર છે. કચ્છમાંથી કૈલા, રૂદ્રમાતા, કસવતિ, માથલમાં જળસ્તર હવે 10 ટકાથી પણ નીચે છે. બરાબર એક મહિના અગાઉ એટલે કે 17 એપ્રિલના કચ્છમાં 38 ટકા જળસ્તર હતું. આમ, એક મહિનામાં અસહ્ય ગરમીને લીધે જળસ્તર 8 ટકા જેટલું ઘટ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલ જળસ્તર 31.46 ટકા છે. આમ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળસ્તર મામલે સ્થિતિ ચિંતાજનક છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મોટા જળાશયો કે જ્યાં જળસ્તર 50 ટકાથી પણ ઓછું છે તેમાં બનાસકાંઠાના સિપુ, મોરબીના મચ્છુ-2, બ્રહ્માણી, અરવલ્લીના હાથમતિ, ભાવનગરના શેત્રુંજી, મહેસાણાના ધરોઈ-કડાણા, રાજકોટના ભાદર, તાપીના ઉકાઈ અને વલસાડના દમણગંગાનો સમાવેશ થાય છે. જળસ્તરમાં મોટો ઘટાડો થયો હોવા છતાં રાજ્યને જળસંકટને સામનો નહીં કરવો પડે તેવો તંત્રનો દાવો છે. રાહતની વાત એ પણ છે કે, આ વખતે ચોમાસાની વહેલી શરૂઆત થવાની છે. તેમજ ચોમાસુ સામાન્યથી સારૂ રહેવાનો આશાવાદ પણ હવામાન વિભાગે આપ્યો છે.