1. Home
  2. ગુજરાતી
  3. પુરી જગન્નાથજી મંદિરમાં સ્પાય કેમેરા લઈ જઈ જનાર સામે હવે નોંધાશે ગુનો
પુરી જગન્નાથજી મંદિરમાં સ્પાય કેમેરા લઈ જઈ જનાર સામે હવે નોંધાશે ગુનો

પુરી જગન્નાથજી મંદિરમાં સ્પાય કેમેરા લઈ જઈ જનાર સામે હવે નોંધાશે ગુનો

0
Social Share

નવી દિલ્હીઃ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં સ્પાય કેમેરા લઈને જવા ઉપર હવે ગુનો નોંધાશે. ઓડિશા સરકારે આ અંગે જગન્નાથ મંદિર અધિનિયમ, 1955માં સુધારો કરવાની તૈયારી કરી છે. ઓડિશાના કાયદા મંત્રીએ કહ્યું કે 12મી સદીના મંદિરની અંદર સ્પાય કેમેરા રાખવા અને ફોટા કે વીડિયો લેવા બદલ સજાની જોગવાઈ હશે.

ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું કે, મંદિરમાં વારંવાર પ્રવેશ કરવા અને વિવિધ રીતે છુપાવીને કેમેરા રાખવાની ઘટનાઓ રોકવા માટે યોગ્ય કાયદો હોવો જોઈએ. મંદિરની અંદર સ્પાય કેમેરા રાખનારાઓને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે. તસવીરો લેતી વખતે ટોર્ચ હોય તો જ પોલીસ સ્પાય કેમેરા વિશે જાણી શકે છે. તેથી, કાયદો બનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જગન્નાથ મંદિર વહીવટીતંત્ર (SJTA) એ મંદિરની અંદર સ્પાય કેમેરા લગાવવાની ઘટનાઓ પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મંદિર પ્રશાસને કહ્યું કે રાજ્ય સરકારે આને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ. SJTA ના મુખ્ય પ્રશાસક અરબિન્દા પાધીએ કહ્યું કે અમે કાયદા વિભાગને ચાર દરખાસ્તો આપી છે. જેમાં મંદિરની અંદર અનધિકૃત ફોટોગ્રાફી અને જાસૂસી સાધનો અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રાખવા બદલ દંડ અને જેલની સજાનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે, અમે રાજ્ય સરકારને શ્રી જગન્નાથ મંદિર અધિનિયમ, 1955 માં સુધારો કરવા અને મોબાઇલ ફોન, વિડીયો કેમેરા, જાસૂસી કેમેરા અને અન્ય વસ્તુઓ લઈ જવાને દખલપાત્ર ગુનો બનાવવા, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિ માટે કેદની જોગવાઈ કરવા અને મંદિર ઉપર ડ્રોન ઉડાવવાને બિનજામીનપાત્ર ગુનો બનાવવાનું સૂચન કર્યું છે. સરકાર અમારા પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેશે.

મંગળવારે સવારે, જગન્નાથ મંદિરના સુરક્ષા કર્મચારીઓએ પશ્ચિમ બંગાળના પ્રતિશ પાલ નામના વ્યક્તિની મંદિરની અંદર મોબાઇલ ફોન અને જાસૂસી ચશ્મા રાખવા બદલ ધરપકડ કરી હતી. તેનો મોબાઇલ અને જાસૂસી ચશ્મા જપ્ત કરવામાં આવ્યા હતા. સોમવારે અગાઉ, ગુજરાતના વતની વિપુલ પટેલ નામની વ્યક્તિની જાસૂસી કેમેરાવાળા ચશ્મા સાથે મંદિરમાં પ્રવેશતા અટકાયત કરી હતી. એક અઠવાડિયા પહેલા, પુરીનો અભિજીત કર નામનો વ્યક્તિ પણ જાસૂસી કેમેરા સાથે પકડાયો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણેય કિસ્સાઓમાં, પોલીસે કથિત ગુનેગારોને છોડી મૂકવા પડ્યા હતા કારણ કે આવા લોકોને સજા આપવા માટે કોઈ યોગ્ય કાયદો નહોતો. એસપી પિનાક મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરની અંદર જાસૂસી કેમેરા રાખનારાઓને શોધી કાઢવા પોલીસ માટે એક મોટો પડકાર હતો. આવી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરક્ષા કર્મચારીઓને નજર રાખવા કહેવામાં આવ્યું છે. શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્ર (SJTA) સાથે ખાસ કાયદો બનાવવા અંગે ચર્ચા ચાલી રહી છે. એસપીએ કહ્યું કે મંદિરની અંદર મોબાઇલ ફોન, વીડિયો કેમેરા રાખવા અને ફોટા પાડવા પર સખત પ્રતિબંધ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code