
- શહેરના 54 સ્થળોએ ગરીબો માટે 25138 મકાનો બનાવાશે
- હાલ 10 સ્થળોએ 3818 મકાનો ગરીબો માટે બની રહ્યા છે
- સ્લમ રિહેબિલેશન યોજના હેઠળ ઝૂંપડપટ્ટીનો સર્વે કરીને મકાનો ફાળવાશે
અમદાવાદઃ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી ઝૂંપડપટ્ટી આવેલી છે. તાજેતરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરીને ચંડાળા તળાવ તેમજ બાપુનગરના અકબરનગરમાં ઝૂંપડપટ્ટી અને કાચા-પાકા મકાનો ધ્વસ્ત કર્યા હતા. બીજીબાજુ સ્લમ રિહેબિલેશન યોજના અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી ઝૂંપડપટ્ટીનો સર્વે કરાવવામાં આવી રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા ગરીબો માટે 25000 આવાસો બનાવવાનું આયોજન છે. હાલ શહેરના 10 સ્થળોએ 3818 મકાનો ગરીબો માટે બનાવવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં ઝુપડપટ્ટી તેમજ સ્લમ વિસ્તાર આવેલા છે. ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્લમ રિહેબિલેશન યોજના હેઠળ સરકારી જગ્યામાં દબાણ કરેલા હોય તેવા ઝૂંપડાઓના સર્વે કરીને મકાન આપવામાં આવે છે. એએમસી દ્વારા સર્વે કરી 54 જગ્યાએ 25138 મકાનો સ્લમના લોકોને બનાવીને આપવાના છે. જેમાં 20 સ્લમ જગ્યાઓમાં 8623 મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવીને આપી દેવામાં આવ્યા છે. જ્યારે 24 જગ્યાએ 12,697 આવાસ યોજનાના મકાનો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે 10 જગ્યાએ 3818 મકાનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જ્યારે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 10 સ્લમની જગ્યાએ 4061 મકાનો બનાવીને આપી દેવામાં આવ્યા છે.
એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, ગરીબ લોકોને તેમનો ઘરનું ઘર મળી રહે અને ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેના ભાગરૂપે શહેરમાં સર્વે કરીને 54 જગ્યાએ 25,138 આવાસો બનાવીના નક્કી કરાયું હતું. શહેરના મધ્ય ઝોનમાં સૌથી વધુ 22 જગ્યાએ સ્લમ આવેલા છે. ત્યાં 5507 મકાનો બનાવવાનું નક્કી કરાયું હતું. તેમાંથી 2 જગ્યાઓ પર 677 પાકા મકાનો બનાવીને આપી દેવામાં આવ્યા છે. જ્યારે 9 જગ્યાઓ પર 3675 મકાનો બનાવવાનું આયોજન છે. આ સિવાય પશ્ચિમ ઝોનમાં 21 જગ્યાએ 14,793 મકાનો બનાવવાનું નક્કી કરાયું હતું. તેમાંથી 10 જગ્યાઓ પર 4061 મકાનો બનાવીને આપી દેવામાં આવ્યા છે. જ્યારે 11 જગ્યાઓ પર 10,732 આવાસોનું કામ ચાલુ છે.