
- મ્યુનિ. દ્વારા 163 કન્સ્ટ્રકશન સાઈટને નોટિસ,
- 7 કન્સ્ટ્રકશન સાઈટ સીલ કરાઈ,
- મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ફોગીંગ, જંતુનાશક દવાનો છંટકાવ,
અમદાવાદઃ શહેરમાં છેલ્લા પખવાડિયાની વાદળછાંયુ વાતાવરણ અને સમયાંતરે પડતા વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેથી મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. ત્યારે એએમસીના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પતિ સામે ઝૂંબેશ શરૂ કરી છે.અને હેલ્થના અધિકારીઓ દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રહેણાંક અને કોમર્શિયલ સાઇટ તેમજ વિવિધ એજ્યુકેશન કેમ્પસ સહિતની જગ્યા ઉપર ભરાયેલા વરસાદી પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ વધુ થતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વસ્ત્રાલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલના બાંધકામ તેમજ ગોતા નિકોલ ચાંદખેડા અને લાંભા વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રકશન સાઈટો મળી કુલ 7 કન્સ્ટ્રક્શન સાઈટો પર મોટા પ્રમાણમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 7 સાઈટને સીલ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. વધારે વરસાદી પાણી ભરાઈ રહે તેવા સ્થળો ઉપર મચ્છરોની ઉત્પત્તિ વધારે થતી હોય છે, ત્યારે કન્સ્ટ્રક્શન સાઈટો ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. 304 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટોને ચેક કરી 163 જગ્યાએ નોટિસ આપવામાં આવી છે. રૂપિયા 8.52 આંખનો દંડ વસૂલવામાં આવ્યો છે. મચ્છરજન્ય રોગચાળો ન કરે તેના માટે જો કોઈ ફરિયાદ હોય તો 155303 ઉપર નાગરિકો ફોન કરી અને દવાના છંટકાવ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણ કરી શકે છે.
તેમણે કહ્યું હતું કે, જો કોઈ જગ્યાએ મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકિંગ અને નાશ કરવાની કામગીરી માટે આ પ્રકારની કામગીરી કરતી એજન્સી પાસેથી કામ કરાવી શકે છે. શહેરની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, રહેણાંક કે ધંધાકીય વિસ્તારમાં વરસાદી/અન્ય રીતે પાણી ભરાઈ રહેતુ હોય તેવા પાત્રોને અઠવાડીયામાં એક વખત ખાલી કરી ડ્રાય કરવા, શક્ય હોય તો તેવા પાત્રોનો નાશ કરવાનો રહેશે.