એશિયા કપ : ફખર જમાનના આઉટ પર PCB એ ICC સમક્ષ ફરિયાદ દાખલ કરી
એશિયા કપ 2025ના સુપર-4 તબક્કામાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલ રોમાંચક મુકાબલાએ હવે નવા વિવાદને જન્મ આપ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પીસીબીનું માનવું છે કે પાકિસ્તાની ઓપનર ફખર જમાનના આઉટ અંગે ત્રીજા અંપાયરે ખોટો નિર્ણય કર્યો હતો. મેચની શરૂઆતમાં જ ફખર જમાને આક્રમક ઇનિંગ્સ રમી 8 બોલમાં 15 રન ફટકાર્યા હતા. જોકે, ત્રીજા ઓવરમાં ભારતીય વિકેટકીપર સંજુ સેમસને તેમનો કેચ પકડી લીધો. મેદાન અંપાયરે તરત આઉટ આપ્યું નહોતું અને નિર્ણય ત્રીજા અંપાયર રૂચિરા પલિયાગુરુગેને મોકલાયો હતો. વિવિધ એંગલની રિપ્લે જો્યા બાદ ત્રીજા અંપાયરે જમાનને આઉટ જાહેર કર્યા હતો. પાકિસ્તાનનો આક્ષેપ છે કે, આ નિર્ણય ખોટો હતો અને આ કારણે તેમણે આઈસીસી પાસે સત્તાવાર ફરિયાદ કરી છે.
આ વિકેટ બાદ સોશિયલ મીડિયા પર પણ ચાહકોની વચ્ચે મતભેદ સર્જાયા હતા. કેટલાકે અંપાયરનો નિર્ણય યોગ્ય ગણાવ્યો, તો કેટલાકે તેને ભૂલ ગણાવી હતી. સામાન્ય રીતે ત્રીજા અંપાયરનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે અને ભાગ્યે જ કોઈ ટીમ આ મુદ્દે આઈસીસી સુધી ફરિયાદ લઈ જાય છે. પરંતુ ભારત સામેની હાર પાકિસ્તાની ટીમ માટે સહન કરવી મુશ્કેલ બની રહી છે. ગ્રૂપ તબક્કામાં પણ પાકિસ્તાન ભારત સામેની હાર બાદ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટની ફરિયાદ કરી હતી, જેને આઈસીસીએ ફગાવી દીધી હતી.
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાએ પણ અંપાયરિંગ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, “અંપાયર ભૂલ કરી શકે છે, પરંતુ મને એવું લાગ્યું કે બોલ કીપરના હાથમાં પહોંચતા પહેલાં જ ઊછળી ગયો હતો. કદાચ હું ખોટો હોઉં, પણ અંપાયર પણ ખોટા હોઈ શકે છે. ફખર જમાન જો પાવરપ્લે દરમિયાન લાંબી ઇનિંગ્સ રમી હોત તો અમે કદાચ 190 રન બનાવી શકતા. તેમ છતાં, અંતિમ નિર્ણય અંપાયરનો જ હોય છે.”


