
- અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો,
- ફ્લાઇટ ચૂકી જતાં ભૂમિએ બોર્ડિંગ પાસ ફાડીને ગુસ્સો કર્યો હતો,
- ભૂમિ કહે છે, મારું શરીર ધ્રુજી રહ્યું છે, મને કોઈ શબ્દો મળી રહ્યા નથી.
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જતું એરઈન્ડિયાનું વિમાન ટેકઓફ થયા બાદ ગણતરીની સેકન્ડમાં તૂટી પડ્યું હતું. આ દૂર્ઘટનામાં વિમાનમાં પ્રવાસી કરી રહેલા 241 જેટલા પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બરના મોત નિપજ્યા હતા. જ્યારે એક પ્રવાસીને ચમત્કારિક બચાવ થયો હતો. આ પ્લેનમાં ભૂમિ ચૌહાણ નામના પ્રવાસી લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિકને લીધે મોડા પહોંચતા પ્લેનમાં બેસી શક્યા નહતા, અને એરપોર્ટ પર જ ભૂમિએ પોતાનો બોર્ડિંગ પાસ ફાડીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પણ વિમાની દુર્ઘટના બાદ ભૂમિએ પોતે બચી ગયાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો. અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણને ફળ્યો હતો, માત્ર 10 મિનિટ માટે ફ્લાઇટ ચૂકી જતાં ભૂમિ ચૌહાણનો આબાદ બચાવ થયો હતો.
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ 10 મિનિટ માટે ચૂકી ગયા હતો અને જેમાં તેમનો બચાવ થયો હતો.
ભૂમિ ચૌહાણ વેકેશન મનાવવા ગુજરાત આવ્યા હતા. બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171માં લંડન પરત ફરવાનાં ૨હ્યા હતાં. પરંતુ અંકલેશ્વરથી પરત – ફરતી વખતે અમદાવાદમાં ભારે ટ્રાફિકના કારણે તેઓ માત્ર 10 મિનિટ માટે ફલાઇટ ચૂકી ગયા હતા ફ્લાઇટ ચૂકી જતાં તેમણે બોર્ડિંગ પાસ ફાડીને ગુસ્સો કર્યો હતો. પરંતુ આ પછી તેઓ અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. ત્યારે પ્લેન ક્રેશની વાત જાણી પોતાનો જીવ બચવાથી રાહત અનુભવી હતી. ભૂમિ ચૌહાણે કહ્યું કે, ‘મારું શરીર ધ્રુજી રહ્યું છે. અત્યારે મને કોઈ શબ્દો મળી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-લંડનમાં પ્લેન ક્રેશથી 267ના મૃત્યુ થયા છે. આ મૃત્યુઆંકમાં હજુ પણ વધારો થાય તેવી સંભાવના છે.