
બિહાર ચૂંટણીઃ BJPએ 71 ઉમેદવારોના નામ કર્યાં જાહેર, નંદ કિશોર યાદવને પડતા મુકાયાં
નવી દિલ્હીઃ બિહાર ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને ચાલતી ખેંચતાણનો અંત આવતા ભાજપા દ્વારા આજે 71 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. બિહાર ચૂંટણીમાં ભાજપા 101 બેઠકો ઉપર તેમના ઉમેદવારો ઉભા રાખજે. જે પૈકી 71 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. બાકીના ઉમેદવારોના નામ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. ભાજપાએ ટીકીટ ફાળવણીમાં સિનિયર નેતાઓની બાદબાકી કરવાની સાથે યુવાનોને ચાન્સ આપ્યો હોવાનું જાણવા મળે છે.
ભાજપા પાર્ટી હાઈકમાન્ડે આ વખતે કુમ્હરાર, પટના સાહિબ અને દાનાપુર વિધાનસભાના ઉમેદવારો બદલ્યાં છે. કુમ્હરારથી ધારાસભ્ય અરૂણ સિંહાની જગ્યાએ સંજય ગુપ્તા, પટના સાહિબ બેઠક ઉપર નંદ કિશોર યાદવની જગ્યાએ રત્નેશ કુશવાહ અને દાનાપુરમાં પૂર્વ સાંસદ રામકૃપાલ યાદવને ટીકીટ ફાળવવામાં આવી છે. સતત સાત ટર્મથી વિધાનસભાની ચૂંટણી જીતનાર સિનિયર નેતા નંદ કિશોર યાદવને પડતા મુકવામાં આવ્યાં છે. આ ઉપરાંત મંત્રી મોતીલાલ પ્રસાદની રીગા બેઠક ઉપર અને ઔરાઈથી રામસુરત રાયને પડતા મુકવામાં આવ્યાં છે. એમએલસી અને સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયને સીવાનથી ઉમેદવાર બનાવ્યાં છે. જેડુયુના પૂર્વ સાંસદ સુનીલ કુમાર પિંટીની તાજેતરમાં જ ભાજપામાં ઘર વાપસી થઈ હતી. તેમજને સીતામઢી બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે.
દરમિયાન નંદ કિશોર યાદવે જણાવ્યું હતું કે, હુ ભાજપના નિર્ણય સાથે છે ભાજપાએ મને ઘણુ બધુ આપ્યું છે. મને પાર્ટીથી કોઈ ફરિયાદ નથી. નવી પેઢીનું સ્વાગત છે. પટના સાહિબ વિધાનસભાના મતદારોને મને સતત સાત વાર જીતાવ્યો છે તેમણે ભાજપાના ઉમેદવારના રૂપમાં મને જે સ્નેહ અને સમર્થન આપ્યું છે હું તેને ક્યારેય નહીં ભૂલીશ.