
રેતી, કપચી, અને માટી પરની રોયલ્ટીમાં તોતિંગ વધારાને લીધે હવે ઘર ખરીદવું મોંઘું પડશે
- તિજારી ભરવા માટે સરકારે રાતોરાત લીધો નિર્ણય,
- સરકારે રોયલ્ટીની રકમમાં બમણો વધારો કર્યો,
- હવે ખનીજચોરીના બનાવોમાં પણ બમણો વધારો થશે
અમદાવાદઃ ગુજરાત સરકારે રેતી, કપચી, અને માટી સહિત ખનીજ પર લેવાતી રોયલ્ટીમાં મસમોટો વધારો કર્યો છે. એટલે કે જે રોયલ્ટી લેવામાં આવતી હતી. એમાં બે ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. જેના લીધે હવે નવા બની રહેલા હાઈરાઈઝ બિલ્ડિંગોના ખર્ચમાં વધારો થતાં ઘરનું ઘર ખરીદવું મોંઘુ પડશે.
રાજ્ય સરકારે તિજોરી ભરવા માટે રેતી, કપચી અને સાદી માટી સહિતના ખનિજ પર લેવાતી રોયલ્ટીના દરોમાં અચાનક વધારો ઝીંક્યો છે. છેલ્લા 10 વર્ષથી રોયલ્ટીની રકમમાં કોઈ વધારો કરાયો નહોતો, પરંતુ ગઈકાલે રાતોરાત સરકારે વિવિધ ખનિજોની રોયલ્ટીમાં વધારો કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નોટિફિકેશનમાં સરકારે રોયલ્ટીના બદલે રોયલ્ટીની ઉપર તેટલી જ રકમનું પ્રીમિયમ વસૂલ કરવાનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે ખનિજ માટે હવે લગભગ બમણી રોયલ્ટી ભરવી પડશે. અચાનક સરકારે વધારેલા ભાવવધારાના પગલે ખનિજોનું ઉત્પાદન અને વેપાર કરતા લોકોમાં આંતરિક વિરોધ શરૂ થઈ ગયો છે. છેલ્લે વર્ષ-2015માં રોયલ્ટીની રકમમાં વધારો થયો હતો અને ત્યારબાદ કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. રેતી, કપચી અને સાદી માટી તેમજ અન્ય ખનિજો પર સરકાર દ્વારા દર વર્ષે ૩૦ ટકા વધારો કરવામાં આવતો હતો. વર્ષ-2017ના જાહેરનામાં મુજબ નવી લીઝો 100 ટકા પ્રીમીયમ ભર્યા બાદ એલોટ થતી હતી. જેથી રોયલ્ટીની રકમમાં વધારો કરી શકાતો ન હતો.
સૂત્રોના કહેવા મુજબ બ્લેક ટ્રેપની 40 ટન એક ગાડીમાં ક્વોરી માલિકો જે ભાવો વસૂલ કરતા હતા તે ગાડીમાં હવે સામાન્ય સંજોગોમાં રૂા.4 હજારનો સીધો વધારો થઇ જશે. એક ટનમાં કપચીની રોયલ્ટી ઉપરાંત વિવિધ ટેક્સના કારણે 85થી 100 રૂપિયાનો વધારો થવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભાવો પર કામ કરાતું હતું. તેમના બજેટ પર હવે સીધી અસર થશે. આ ઉપરાંત ખનીજમાં રોયલ્ટીમાં તોતિંગ વધારાને કારણે ખનીજચોરીમાં પણ વધારો થશે.