
GST દરો પર કોઈપણ અનુમાન લગાવવાનું ટાળવા સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ્સની અપીલ
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે લોકોને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના દરો અંગે કોઈપણ અનુમાન લગાવવાનું ટાળવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે કહ્યું છે કે આ દરો અંગેના નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. જેમાં કેન્દ્ર અને રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે. બોર્ડે કહ્યું છે કે અગાઉથી અનુમાન લગાવવાથી અફવાઓ ફેલાય છે અને તેનાથી શેરબજારમાં અસ્થિરતા આવી શકે છે. બોર્ડે સલાહ આપી છે કે લોકોએ 3 અને 4 સપ્ટેમ્બરના રોજ GST કાઉન્સિલની બેઠક પછી સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ.
દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) કાઉન્સિલ દ્વારા કેન્સર સંબંધિત અને અન્ય આવશ્યક દવાઓ પર GST ઘટાડવાનો નિર્ણય એક પ્રશંસનીય પગલું છે. એક નિવેદનમાં, IMA એ કહ્યું કે આ પગલું દેશભરના લાખો દર્દીઓ માટે આરોગ્યસંભાળને વધુ સસ્તું અને સુલભ બનાવશે. IMA એ કહ્યું કે, દવાઓ પર GST ઘટાડો સરકારની ગંભીર દર્દીઓને મદદ કરવા અને આરોગ્ય માળખાને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
IMA એ કહ્યું કે, “મહત્વપૂર્ણ દવાઓ પર GST ઘટાડો સરકારની જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવા અને કેન્સર, ક્રોનિક રોગો અને જીવલેણ ચેપ જેવી ગંભીર તબીબી પરિસ્થિતિઓથી પીડાતા લોકોને મદદ કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.” પ્રસ્તાવ હેઠળ, કેન્સર અને અન્ય સારવાર દવાઓ પર GST 12% થી ઘટાડીને 5% અથવા શૂન્ય કરવામાં આવશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સરકાર તેના વ્યાપક કર સુધારાના ભાગ રૂપે ઘણી આવશ્યક અને જીવનરક્ષક દવાઓ પર GST ઘટાડવા પર કામ કરી રહી છે. કેન્સરની દવાઓ અને અન્ય મહત્વપૂર્ણ સારવાર માટે, પ્રસ્તાવિત ફેરફારોમાં GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો અને કેટલાક કિસ્સાઓમાં તેને શૂન્ય પર લાવવાનો સમાવેશ થાય છે.