
છત્તીસગઢ: કાંકેરમાં એક પરિવારના પાંચ સભ્યોએ ઝેર પીધું, ત્રણ બાળકોના મોત
કાંકેર: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં એક પરિવારના પાંચ સભ્યોએ ઝેર પીધું હતું, જેના કારણે ત્રણ બાળકોના મોત થયા અને દંપતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે રાત્રે પરતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રપુર ગ્રામ પંચાયતના ‘પરલકોટ ગામ-70’ માં બની હતી. જ્યાં ગામના રહેવાસી દેવેન્દ્ર બૈરાગી (ઉ.વ. 36) એ ખોરાકમાં ઝેર ભેળવીને તેના બાળકો દીપ્તિ બૈરાગી (ઉ.વ. 12), જુટિકા બૈરાગી (ઉ.વ. 9) અને દેવરાજ બૈરાગી (ઉ.વ. 6) ને ખવડાવ્યું હતું. તેમણે કહ્યું કે આ પછી બૈરાગી અને તેની પત્નીએ પણ ઝેર પીધું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય બાળકોના મોત થયા છે અને પતિ-પત્નીને ગંભીર હાલતમાં પંખાજૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “પ્રારંભિક તપાસ મુજબ, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. કદાચ આ કારણે પરિવારે આ પગલું ભર્યું હતું.” અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.