
- કર્નલ સોફિયા કૂરેશીના પરિવારજનોએ મોદી પર ગુલાબની પાંખડીઓ વરસાવી
- સેનાના શોર્યને બિરદાવવા મોદીએ કેસરી કોટી પહેરી રોડ શો કર્યો
- વડોદરામાં રોડ શો બાદ મોદી દાહોદ જવા રવાના
વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચતા વડાપ્રધાનનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટથી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો હતો. સેનાના શૌર્યને બિરદાવવા મોદીએ કેસરી કોટીમાં રોડ શો કર્યો હતો. એરપોર્ટ બહાર નીકળતા જ કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી વડાપ્રધાનું સ્વાગત કર્યુ હતું.
વડોદરા એરપોર્ટ પર વડાપ્રધાન આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાન મોદીની સિન્દૂર સન્માન યાત્રામાં વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો સિંદૂર સન્માન યાત્રામાં જોડાયા હતા. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી યોજાયેલા એક કિલોમીટરના રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા અને શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. બાદમાં મોદી દાહોદ જવા રવાના થયા છે.
દાહોદમાં મહિલાઓમાં ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2000થી વધુ મહિલાઓ એક પ્રકારની સાડી પહેરીને તિરંગા ઝંડા સાથે સભામાં પહોંચી છે. દાહોદમાં વડાપ્રધાનના રુટ ઉપર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રુટ પર 9 સ્ટેજ બનાવવામા આવ્યા છે, જેના ઉપર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ કાર્યક્રમની થીમ પર કાર્યક્રમો રજૂ કરવામા આવશે. 3 કિલોમીટરના રુટ પર જાહેર અવરજવર બંધ કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી આજે દાહોદમાં ખરોડ ખાતે રેલવે સહિત વિવિધ વિભાગોના રૂ.24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. ભુજમાં વડાપ્રધાનના હસ્તે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, ત્યારબાદ સાંજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 27મી મેએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી રૂા.5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.