
ટેરર ફડીંગ કેસમાં કાશ્મીરી અલગવવાદી નેતા શબ્બીર અહેમદ શાહની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે આતંકવાદી ભંડોળ કેસમાં કાશ્મીરી અલગતાવાદી નેતા શબ્બીર અહેમદ શાહની જામીન અરજી ફગાવી દીધી હતી. શબ્બીર શાહ 2017 થી NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ની કસ્ટડીમાં છે. તેમણે પોતાના જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.
અગાઉ, દિલ્હી હાઈકોર્ટે શબ્બીર અહેમદ શાહની જામીન અરજીની સુનાવણી બાદ નિર્ણય અનામત રાખ્યો હતો. શબ્બીર શાહે ખાસ NIA કોર્ટના જામીન નામંજૂર કરવાના આદેશ સામે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ શાલિન્દર કૌરની બેન્ચે શબ્બીર અહેમદ શાહની જામીન અરજી ફગાવી દીધી છે.
શબ્બીર શાહના વકીલ કોલિન ગોન્સાલ્વિસે કોર્ટને જણાવ્યું હતું કે શબ્બીર શાહ છેલ્લા છ વર્ષથી કસ્ટડીમાં છે, પરંતુ તેમની સામે કોઈ ગુનો સાબિત થયો નથી. શબ્બીર શાહ સામે NIA ચાર્જશીટમાં કોઈ નક્કર પુરાવા નથી. શબ્બીર શાહ સામે 24 કેસ હતા, જેમાંથી 18 કેસોમાં તેમના પર આરોપ મૂકવામાં આવ્યા છે, ત્રણ કેસ રદ કરવામાં આવ્યા છે, અને ત્રણ કેસની તપાસ પેન્ડિંગ છે.