
- ઈરાન-ઈઝરાઈલ યુદ્ધને લીધે ડ્રાયફ્રુટની આવક ઘટતા ભાવમાં વધારો,
- અંજીરનો ભાવ 1500થી 2500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો,
- ડ્રાયફ્રુટની નવી આવક શરૂ થાય તો જ ભાવમાં ઘટાડો થશે
અમદાવાદઃ ઈરાન અને ઈઝરાઈલ વચ્ચેના યુદ્ધને કારણે ડ્રાયફ્રુટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ગૌરી વૃત, ત્યારબાદ શ્રાવણ મહિનો અને જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોમાં ડ્રાયફ્રુટનું વેચાણ વધુ થયું હોય છે. પણ ભાવમાં 70 ટકા જેટલા વધારાથી ડ્રાયફ્રુટની ખરીદીમાં ઓટ આવશે. તેના લીધે વેપારીઓ પણ ચિતિત બન્યા છે.
અમદાવીદ, રાજકોટ સહિત તમામ શહેરમાં ડ્રાયફ્રુટના ભાવમાં 70 ટકાનો વધારો થયો છે, જે ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે. મહત્વનું છે કે, જન્માષ્ટમી અને શ્રાવણના તહેવારો નજીક હોવાથી ડ્રાયફ્રુટની માંગ વધી છે, જોકે,બજારમાં ચાલતા ઊંચા ભાવને કારણે ગ્રાહકોના બજેટ પર અસર પડી રહી છે. વ્રત અને તહેવારોની મોસમમાં ડ્રાયફ્રુટની માંગમાં નોંધપાત્ર વધારો થયો હોય છે. પરંતુ, ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ડ્રાયફ્રુટની આયાત ખોરવાઈ ગઈ છે, જેની સીધી અસર ગુજરાતના બજારો પર જોવા મળી રહી છે. અને ડ્રાયફ્રુટના ભાવમાં 70 ટકાનો વધારો નોંધાયો છે,
રાજકોટના બજારમાં ડ્રાયફ્રુટના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલના ભાવની વાત કરીએ તો, રાજકોટમાં અંજીર 1500થી 2500 રૂપિયા પ્રતિ કિલો, મોળા પિસ્તા 2400થી 2600 રૂપિયા, ખારા પિસ્તા 1100થી 1600 રૂપિયા, કાળી દ્રાક્ષ 400થી 600 રૂપિયા, અમેરિકન અખરોટ 600થી 700 રૂપિયા, અમેરિકન ચિલ્લે અખરોટ 900થી 1000 રૂપિયા, જરદારૂ 800થી 1300 રૂપિયા, ખજૂર 300થી 2400 રૂપિયા, કિસમિસ 300થી 600 રૂપિયા અને બદામ 800થી 1000 રૂપિયા પ્રતિ કિલો. આ ભાવમાં 500થી 700 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે, જેના કારણે ડ્રાયફ્રુટની ખરીદી ગ્રાહકો માટે મોંઘી બની રહી છે.
ગ્રાહકોનું કહેવું છે કે ડ્રાયફ્રુટ ખરીદવું હવે લક્ઝરી બની ગયું છે. ખાસ કરીને જન્માષ્ટમી અને શ્રાવણ મહિનાના તહેવારો નજીક આવી રહ્યા છે, જ્યારે ડ્રાયફ્રુટનો ઉપયોગ ઘરે-ઘરે વધે છે. પરંતુ આટલા ઊંચા ભાવને કારણે ખરીદી કરવી મુશ્કેલ બની રહી છે. ગ્રાહકો માટે આ વધારો બજેટ પર ભારે પડી રહ્યો છે, અને તહેવારોની ઉજવણીને સરળ રીતે કરવી એક પડકાર બની ગયો છે. ડ્રાયફ્રુટના આ ઊંચા ભાવે ગ્રાહકોને ખરીદી મર્યાદિત કરવા મજબૂર કર્યા છે, જેની અસર તહેવારોની રોનક પર પણ પડી શકે છે.