સોમનાથ, 11જાન્યુઆરી 2026: સોમનાથ ખાતે યોજાયેલી શૌર્ય સ્વાભિમાન સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વરિષ્ઠ નાગરિકોની અનોખી લાગણી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
વેરાવળના સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટના ૬૫થી વધુ વડીલો એકસરખા કેસરી સાફા બાંધી શૌર્ય સ્વાભિમાન સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનશ્રીના સ્વાગત-સન્માન સાથે રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટ વેરાવળના પ્રમુખ, દીપકભાઈ ટીલાવતે જણાવ્યું હતું કે, “સોમનાથની પવિત્ર ભૂમિ પર આવી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો અમને ગર્વ છે. વડાપ્રધાનશ્રી પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવા માટે અમે સૌએ કેસરી સાફા બાંધી તેમનું સ્વાગત-સત્કાર કરવાનો નિર્ધાર કર્યો છે.”
શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રચેતનાના પ્રતિક સમી આ સભામાં વરિષ્ઠ નાગરિકોની ઉત્સાહી હાજરીએ સમગ્ર વાતાવરણને ગૌરવસભર અને પ્રેરણાદાયી બનાવ્યું હતું.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં આયોજિત શૌર્ય સભામાં લોકોએ ‘શાશ્વત અને અવિનાશી સોમનાથ’, ‘ અખંડ ભારત -અંખડ સોમનાથ’, ‘ શૌર્ય અને સાહસની ગાથા’, ‘સંકલ્પ અને સ્વાભિમાનની ગાથા’, લોખંડી પુરુષની સંકલ્પ ગાથા’ ‘આસ્થા અમર છે’ જેવા સંદેશ આપતા પ્લે કાર્ડ દર્શાવી ભારતીય અસ્મિતાના પ્રતિકરૂપ સોમનાથની ગાથાના ઉજાગર કરી હતી.
આ ઉપરાંત આધુનિક ભારતની નેમને ચરિતાર્થ કરતા ‘વિકસિત ભારત – ૨૦૪૭’, ‘ સર્વજન હિતાય- સર્વજન સુખાય’, ‘ આત્મનિર્ભર યુવા અને આત્મનિર્ભર ભારત’, ‘ મારી ધરતી – મારી પ્રોડક્ટ’ સહિતના પ્લે કાર્ડ દ્વારા વડાપ્રધાનશ્રીના વિઝનને ઉજાગર કરતા આ પ્લે કાર્ડે દ્વારા પ્રેરક સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. આ શૌર્યસભામાં ઉપસ્થિત લોકોએ પોતાના પ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આગમનને આ પ્લે કાર્ડ ઊંચા કરી વધાવ્યા હતા.


