
લખનૌઃ ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત થયો છે. ખલીલાબાદ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંટે-મુંડેરા રોડ પર બુઢા ગામ પાસે, રોડવેઝ બસે મુસાફરોથી ભરેલી ઓટોને ટક્કર મારી હતી. આ ઘટનામાં ઓટોમાં સવાર દંપતી અને તેમના ચાર વર્ષના માસૂમ પુત્ર સહિત પાંચ લોકોનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ, તેમને ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. ઓટોમાં સવાર તમામ લોકો બુઢા ગામના રહેવાસી હતા. બીજી તરફ, અકસ્માત બાદ, નજીકના લોકોએ બસ ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે બસ કબજે કરી અને ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવરિયા ડેપોની બસ બસ્તીથી ગોરખપુર જઈ રહી હતી. બીજી તરફ, બુઢા ગામના કેટલાક લોકો નજીકની ખાનગી હોસ્પિટલમાંથી દર્દીને જોઈને ઓટો દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. કાંટે અને બુઢા ગામ વચ્ચે એક રોડવેઝ બસે તેમની ઓટોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમરજીત રામજતન (ઉ.વ. ૩૦), અમરજીતનો પુત્ર અમન (ઉ.વ ૪), ઝિનકની પત્ની વિધાન દેવી (ઉ.વ. ૫૦)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઓટોમાં મુસાફરી કરી રહેલા અન્ય લોકો ઘાયલ થયા હતા.
માહિતી મળતાં કાંટે પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા, જ્યાં તેજુની પત્ની મુરતી દેવી (ઉ.વ. 32) ને ડૉક્ટરે મૃત જાહેર કરી હતી. ડૉક્ટરોએ સિકંદરની પત્ની ગીતા (ઉ.વ. 28), અમરજીતની પત્ની સરિતા (28) અને અમરજીતના પુત્ર અમન (2) ની સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન, સરિતા અને અમનની ગંભીર હાલત જોઈને, ડૉક્ટરોએ તેમને મેડિકલ કોલેજ ગોરખપુર રિફર કર્યા હતા, જ્યાં મોડી રાત્રે સરિતાનું પણ મૃત્યુ થયું હતું.
અકસ્માતની માહિતી મળતાં, ડીએમ આલોક કુમાર અને એસપી સંદીપ કુમાર મીણાએ ઘટનાસ્થળે મુલાકાત લીધી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. એડીએમ જયપ્રકાશ અને એએસપી સુશીલ કુમાર સિંહ સહિત અન્ય અધિકારીઓ જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ઘટના અંગે પૂછપરછ કરી હતી.