
લાલ કિલ્લાના સંકુલમાંથી એક કરોડની કિંમતના સોનાના કળશની ચોરી, પોલીસ તંત્ર દોડતું થયું
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીના ઐતિહાસિક લાલ કિલ્લાના સંકુલમાંથી લગભગ એક કરોડ રૂપિયાનો સોનાનો કળશ ચોરી થવાના બનાવે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ કળશ જૈન ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન ગુમ થયો હતો, જેના કારણે કાર્યક્રમ સ્થળે ખળભળાટ મચી ગયો હતો.
માહિતી મુજબ, ચોરી થયેલો કળશ આશરે ૭૬૦ ગ્રામ શુદ્ધ સોનાનો હતો અને તેમાં લગભગ ૧૫૦ ગ્રામ હીરા, મણિક અને પન્ના જડાયેલા હતા. આ ધાર્મિક કાર્યક્રમ ૨૮ ઓગસ્ટથી ૯ સપ્ટેમ્બર સુધી ચાલી રહ્યો હતો, જેમાં ફક્ત ધોતી-કુર્તા પહેરેલા અને પરવાનગી ધરાવતા જ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઘટના ૨ સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. અચાનક ભીડ અને હલચલ વચ્ચે કળશ મંચ પરથી ગુમ થઈ ગયો. શરૂઆતમાં લાગ્યું કે કળશ આસપાસ જ ક્યાંક મૂકાયેલો હશે, પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે તે ચોરી થઈ ગયો છે. આ અંગે સુધીર જૈન દ્વારા કોઠવાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે FIR કરીને તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે. સ્થળના CCTV ફૂટેજતપાસવામાં આવ્યા, જેમાં એક સંદિગ્ધ વ્યક્તિ દેખાયો હતો. તે ઘણા દિવસોથી ધોતી-કુર્તા પહેરીને શ્રદ્ધાળુઓ વચ્ચે ફરતો હતો અને તક મળતા જ મંચ સુધી પહોંચી ગયો હતો. ફૂટેજમાં આરોપી સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તે એક થેલામાં કળશ મૂકી બહાર જતા નજરે પડ્યો છે. અધિકારીએ દાવો કર્યો છે કે તેની ઓળખ થઈ ગઈ છે અને તેની શોધખોળ ચાલુ છે. આ માટે વધારાના પોલીસ ઉપઆયુક્તની દેખરેખ હેઠળ અનેક ટીમો બનાવી દેવામાં આવી છે, જે ટેક્નિકલ અને માનવીય સૂત્રોના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.