અમદાવાદ, 1 એપ્રિલ 2026: Medicines worth Rs 4 crores expired ગુજરાતમાં સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રોમાં ગરીબ દર્દીઓ માટે સરકાર દ્વારા દવાઓનો જથ્થો આપવામાં આવે છે. કરોડો રૂપિયાની દવા એક્સપાયર્ડ થઈ જાય ત્યાં સુધી તંત્રને ખબર પડતી નથી. એક તરફ ગરીબ દર્દીઓ મોંઘી દવાઓના ખર્ચથી બચવા માટે સરકારી હોસ્પિટલો અને જનઔષધિ કેન્દ્રોના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. યોગ્ય જાળવણીના અભાવે ગુજરાતની વિવિધ સરકારી હોસ્પિટલોમાં રૂપિયા 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થતા ડસ્ટબિનમાં ફેંકવાની ફરજ પડી છે.
સૂત્રોના કહેવા મુજબ દવાઓની જાળવણી માટે ચોક્કસ તાપમાન અને સુરક્ષિત જગ્યાએ રાખવી અનિવાર્ય છે. પરંતુ એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, લાખો રૂપિયાની દવાઓના પેકેટ વેરહાઉસને બદલે ખુલ્લા મેદાનમાં બિનવારસી હાલતમાં પડી રહ્યા હતા. વર્ષ 2017 થી 2022 દરમિયાન અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં આ પ્રકારે પ્રજાના ટેક્સના પૈસાની ઉઘાડી બરબાદી જોવા મળી છે. આ લાલિયાવાડીમાં જામનગર અને અમદાવાદ મોખરે છે. જામનગર: રૂ. 98.20 લાખની દવાઓ બિનઉપયોગી બની હતી, જ્યારે અમદાવાદમાં રૂ. 68.17 લાખની દવાઓ એક્સપાયર્ડ થઈ હતી. તેમજ વડોદરામાં રૂ. 58.47 લાખની દવાઓ ડસ્ટબિનમાં પધરાવવી પડી છે. પાટણમાં પણ રૂ. 52.06 લાખની દવાઓ એક્સપાયર્ડ થઈ હતી.
આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની દવાઓની ખરીદી કરવામાં આવે છે. જેથી ગરીબ દર્દીઓને મફત સારવાર મળી શકે. પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે આ દવાઓ દર્દીઓ સુધી પહોંચવાને બદલે ખુલ્લા પ્રાંગણમાં પડી રહીને ઝેર બની ગઈ હતી. સમયમર્યાદા વીતી ગયા પછી પણ આ પેકેટોનો કોઈ નિકાલ કરવામાં આવ્યો ન હતો. આ ઘટનાએ સરકારી તંત્રની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે કે પછી પ્રજાના પૈસા આ જ રીતે બરબાદ થતા રહેશે? એવા સવાલો ઊઠી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ, અમરેલી, સુરત, વડોદરા, રાજકોટ, પાટણ, હિમતનગર, દાહોદ, જામનગર અને વલસાડમાં સૌથી વધુ દવાઓ બિનઉપયોગી બની રહી હતી. આ સ્થળો દવાઓની પુરતી સાચવણી થઈ શકી નહીં. આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીને કારણે લાખો કરોડોની દવાઓ દર્દીઓ માટે બિનઉપયોગી બની રહી હતી.


