1. Home
  2. ગુજરાતી
  3. ભારત: વિદેશી મુદ્રા ભંડાર 692.72 અબજ ડોલર સુધી પહોંચ્યો
ભારત: વિદેશી મુદ્રા ભંડાર 692.72 અબજ ડોલર સુધી પહોંચ્યો

ભારત: વિદેશી મુદ્રા ભંડાર 692.72 અબજ ડોલર સુધી પહોંચ્યો

0
Social Share

નવી દિલ્હીઃ ભારતનું વિદેશી હૂંડિયામણ 23 મેને સમાપ્ત થયેલા અઠવાડિયામાં 6.99 અબજ ડોલરથી વધીને 692.72 અબજ ડોલર થઈ ગયું છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડા અનુસાર, વિદેશી મુદ્રા ભંડારના મુખ્ય ઘટક એટલે કે વિદેશી ચલણ સંપત્તિઓમાં 4.52 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ છે, જે વધીને 586.17 અબજ ડોલર થઇ ગયું છે. તો સોનાના ભંડારમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે 2.37 અબજ ડોલરથી વધીને 83.58 અબજ ડોલર સુધી પહોંચ્યું છે.

આ ઉપરાંત, સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDRs)માં 81 મિલિયન ડોલરની વૃદ્ધિ સાથે તે 18.571 અબજ ડોલર થયું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)માં ભારતની અનામત સ્થિતિ $30 મિલિયન વધીને $4.401 બિલિયન થઈ છે. તેનાથી વિપરીત, 16 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 4.89 અબજ ડોલર ઘટીને 685.73 અબજ ડોલર થયો હતો. જોકે, 9 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 4.5 અબજ ડોલર વધીને 690.62 અબજ ડોલર થયો હતો.

વિદેશી મુદ્રા ભંડારમાં આ વૃદ્ધિથી ભારતીય રૂપિયાને અમેરિકી ડોલર સામે સ્થિરતા મળે છે. તે રિઝર્વ બેંકને ચલણ બજારમાં હસ્તક્ષેપ કરવા માટે વધુ સારી સ્થિતિમાં લાવે છે. મજબૂત વિદેશી મુદ્રા ભંડાર દેશની આર્થિક પાયાની મજબૂતી દર્શાવે છે અને વૈશ્વિક અસ્થિરતાના સમયમાં ભારતની નાણાકીય સ્થિતિને વધુ સુરક્ષિત બનાવે છે.

વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ભારતનું બાહ્ય ક્ષેત્ર પણ મજબૂત બન્યું છે. એપ્રિલ 2025માં માલ અને સેવાઓની કુલ નિકાસમાં 12.7 ટકાનો વધારો થયો હતો અને તે 73.8 અબજ ડોલર સુધી પહોંચી હતી, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં તે 65.48 અબજ ડોલર હતી. આમાંથી, વેપારી માલની નિકાસ 9.03 ટકા વધીને 38.49 અબજ ડોલર થઈ હતી. ખાસ કરીને, ઉચ્ચ મૂલ્યના ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનોની નિકાસમાં તીવ્ર વધારો થયો છે, જે દેશના ઉત્પાદન ક્ષેત્રની મજબૂતાઈ દર્શાવે છે.

એપ્રિલમાં ઇલેક્ટ્રોનિક માલની નિકાસ 39.51 ટકા વધીને 3.69 અબજ ડોલર થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 2.65 અબજ ડોલર હતી. એન્જિનિયરિંગ માલની નિકાસ પણ 11.28 ટકા વધીને 9.51 અબજ ડોલર થઈ છે, જ્યારે ગયા વર્ષે તે 8.55 અબજ ડોલર હતી. દાગીનાની નિકાસ 10.74 ટકા વધીને 2.5 અબજ ડોલર થઈ છે જે 2.26 અબજ ડોલર હતી. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક વેપાર પર ભારતની પકડ મજબૂત થઈ રહી છે અને નિકાસ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code