
નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાબુદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ અભિયાન ચલાવી રહી છે. સુરક્ષા એજન્સીઓને સફળતા મળી રહી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ હથિયાર હેઠા મુકીને આત્મસર્મપણ કર્યું છે અને સામાન્ય પ્રવાહમાં પરત ફરવાની નેમ વ્યક્ત કરી છે. સુરક્ષાદળોની આ કામગીરીને પગલે જ દેશ હવે ધીમે-ધીમે નક્સલમુક્ત બની રહ્યો છે. દેશમાં નક્સલવાદથી સૌથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 6થી ઘટીને અહીં 3 ઉપર પહોંચી છે. હાલમાં માત્ર છત્તીસગઢના બીજાપુર, સુકમા અને નારાયણપુર જિલ્લામાં વામપંથી ઉગ્રવાદીઓ સૌથી વધારે પ્રભાવિત માનવામાં આવી છે. જ્યારે વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા પણ 18થી ઘટીને 11 ઉપર પહોંચી છે. આમ હવે આગામી દિવસોમાં ભારતમાં નક્સલવાદ સંપૂર્ણપણે નાબુત થવાની આશા વ્યક્ત થઈ રહી છે.
ચાલુ વર્ષે નક્સલ મુક્ત ભારત અભિયાન હેઠળ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ 312 ઉગ્રવાદીઓને ઠાર માર્યાં છે. જેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માઓવાદી)ના મહાસચિવ સહિત પોલિત બ્યુરો અને કેન્દ્રીય સમિતના આઠ સભ્યો પણ સામેલ છે. તેમજ 836થી વધારેની ધરપકડ કરી છે. એટલું જ નહીં 1636 ઉગ્રવાદીઓએ પોતાના હથિયાર હેઠા મુકીને આત્મસમર્પણ કરીને મુખ્યધારામાં પરત ફરવાનો નિર્ણય લીધો છે. સુરક્ષાદળોને મળતી ગુપ્ત માહિતીના આધારે જ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. સુરક્ષા વેક્યુમવાળા વિસ્તારમાં તાત્કાલિક કાર્યવાહી કરીને નક્સલિઓના આર્થિક સ્ત્રોતને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવ્યાં છે. એટલું જ નહીં માઓવાદી મામલે તાત્કાલિક તપાસ અને કોર્ટ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, નક્સલી હિંસા હવે પોતાના અંતિમ તબક્કામાં છે વર્ષ 2013માં જ્યાં 126 જિલ્લામાં નક્સલવાદ સંબંધીત ઘટના બનતી હતી. જે વર્ષ 2025 માર્ચ સુધીમાં આ આંકડો ઘટીને 18 ઉપર પહોંચ્યો છે. કેન્દ્ર સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે, 31મી માર્ચ 2026 સુધીમાં નક્સલવાદની સમસ્યાનો પૂર્ણ રીતે સમાપ્ત કરીને ભારતને નક્સલમુક્ત બનાવવામાં આવશે.