
નવી દિલ્હીઃ ઝારખંડના સરાયકેલા-ખરસાવા જિલ્લામાં આવેલા ચાંદિલ ખાતે શનિવારે મોટો રેલ અકસ્માત થયો, જેમાં બે માલગાડીઓ સામસામે ટકરાઈ ગઈ. ઘટના ચાંદિલ રેલવે સ્ટેશનથી આશરે બે કિમી દૂર બની. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ટ્રેનોના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને લોકોમોટિવ ખૂબ જ નુકસાન પામ્યા. અકસ્માત પછી ટ્રેક પર અવશેષો ફેલાઈ ગયા, જેના કારણે અપ અને ડાઉન બન્ને રેલ લાઇનો પર સંચાલન સંપૂર્ણ બંધ થઈ ગયું. સવારે અંદાજે 4:15 વાગ્યે આ અકસ્માત બન્યો. એક માલગાડી ટાટાનગરથી બોકારો જઈ રહી હતી, જ્યારે બીજી બોકારોથી ટાટાનગર તરફ આવી રહી હતી. પ્રાથમિક તપાસમાં સિગ્નલિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામીની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ટક્કર પછી થયેલા જોરદાર ધડાકાનો અવાજ સાંભળી આસપાસના ગામલોકો ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્યમાં જોડાઈ ગયા.
સૂચના મળતા જ દક્ષિણ-પૂર્વ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ, અકસ્માત રાહત ટ્રેન અને મેડિકલ ટીમ સ્થળે પહોંચી. લોકોપાઇલટ ટીમના લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. જેમને નજીકના હોસ્પિટલમાં ખસેડાયા છે. રાહત ટીમ ભારે મશીનોની મદદથી અવશેષો દૂર કરી ટ્રેકને પુનઃસ્થાપના કરવા માટે કામ કરી રહી છે. આ અકસ્માતને કારણે ચાંદિલ-ટાટાનગર અને ચાંદિલ-બોકારો રૂટ પર બધી જ મુસાફર અને માલગાડીઓનું સંચાલન રદ્દ કરાયું છે. ઘણી ટ્રેનોને ડાયવર્ટ અથવા શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે. સ્ટેશનો પર મુસાફરોને હેલ્પડેસ્ક અને અનાઉન્સમેન્ટ દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે. રેલવેના સત્તાવાર સૂત્રો અનુસાર ટ્રેકની પુનઃસ્થાપનામાં 24 કલાકથી વધુ સમય લાગી શકે છે. મુસાફરોને અનાવશ્યક મુસાફરીથી બચવા અને રેલવેની વેબસાઇટ અથવા હેલ્પલાઇન પરથી માહિતી મેળવવા વિનંતી કરવામાં આવી છે. અકસ્માતની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે માલ પરિવહન પર પણ ગંભીર અસર પડી છે.