
અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં પ્લેન દૂર્ઘટનાની ઘટનામાં 250થી વધારે વ્યક્તિના મોત થયા છે. આ દૂર્ઘટનામાં એક મુસાફરનો ચમત્કારીક બચાવ થયો હતો. આ બનાવમાં રશ્મીન ચૌહાણ નામની વ્યક્તિનો સમયસૂચકતાથી બચાવ થયો હતો. દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનો કેટલોક ભાગ રશ્મીન ચૌહાણની કાર ઉપર પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાવના સમયે રશ્મીનભાઈ ચૌહાણ કાર લઈને મેઘાણીનગરથી શાહીબાગ જઈ રહ્યાં હતા. દૂર્ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે, અચાનક પ્લેનક્રેશ થતા બનાવ સ્થળના 50 ફૂટના અંતરે કારને બ્રેક મારી હતી. તેમજ ગણતરીની સેકન્ડોમાં ચારેય તરફ ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો. જેથી કારને તાત્કાલિક રિવર્સ લીધી હતી અને ત્યાંથી નીકળી ગયો હતો. જ્યારે બ્રેક મારી ત્યારે આગળ કેટલાક વાહનો અને એકાદ-બે વ્યક્તિ પડી હતી. કારની ઉપર પ્લેનનો કેટલો કાળમાળ પડ્યો હતો. જેથી કારની કાચને નુકશાન થયું હતું. તેમજ બિલ્ડીંગનો કેટલોક કાટમાળ કાર ઉપર પડ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, બે-ચાર સેકન્ડને કારણે તેમનો જીવ બચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દૂર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં 242 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતા. જે પૈકી એક જ પ્રવાસીનો બચાવ થયો છે. જ્યારે 241 પ્રવાસીઓના મોત થયા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે.