
નવી દિલ્હીઃ 1 સપ્ટેમ્બર, 2025થી ભારત સરકારએ ચાંદીના ઘરેણાં માટે નવી હૉલમાર્કિંગ સિસ્ટમ અમલમાં મૂકી છે. જો કે, આ હાલ સંપૂર્ણપણે ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકની ઈચ્છા પર આધારિત રહેશે. એટલે કે, ગ્રાહકો ઈચ્છે તો હૉલમાર્કવાળી ચાંદી ખરીદી શકે છે અથવા હૉલમાર્ક વગરની પણ લઈ શકે છે. પરંતુ લાંબા ગાળે માત્ર હૉલમાર્કવાળા ઘરેણાં જ સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે. હાલમાં દેશમાં સોનાના ઘરેણાં પર હૉલમાર્કિંગ ફરજિયાત છે.
બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ચાંદીની શુદ્ધતા માટે 6 નવા ધોરણો નક્કી કર્યા છે – 800, 835, 900, 925, 970 અને 990. સાથે જ હવે દરેક હૉલમાર્કવાળા ઘરેણાંમાં 6-અંકનો HUID (Hallmark Unique Identification Number) આપવામાં આવશે. આ યુનિક કોડ ગ્રાહકને તરત જ ચાંદીની શુદ્ધતા અંગે માહિતી આપશે અને ખાતરી કરશે કે ઘરેણાં અસલી છે. નવી વ્યવસ્થા જૂની હૉલમાર્કિંગ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખશે અને પારદર્શિતા વધારશે.
હૉલમાર્કિંગનો અર્થ છે ધાતુની શુદ્ધતાની સત્તાવાર ખાતરી છે. કોઈપણ ઘરેણાં પર હૉલમાર્કનું નિશાન હોવાનું અર્થ એ થાય છે કે તેનું પરીક્ષણ ભારત સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો મુજબ કરવામાં આવ્યું છે. હવે સોનાની જેમ ચાંદીના ઘરેણાં પર પણ આ નિશાન જોવા મળશે. આથી ગ્રાહકો માટે ઘરેણાં અસલી છે કે ભેળસેળયુક્ત તે ઓળખવામાં સરળતા રહેશે.