
- પ્રવાસન સત્તા મંડળ અને ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા પખવાડિયાનું આયોજન,
- દૂકાનદારોને સફાઈ અભિયાનથી માહિતગાર કરાયા
- પ્લાસ્ટિક મુક્તિ માટે જન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
અંબાજીઃ પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ તરફ ગુજરાતે પહેલ કરી છે. રાજ્યભરમાં તા. 22 મેથી શરૂ કરાયેલા અભિયાનમાં હેઠળ અત્યાર સુધીમાં 5.70 લાખ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો છે. ગુજરાત સહિત દેશભરમાં તા. 22મેથી 5 જૂન 2025 સુધી કરવાનું સફાઈ અભિયાન ચાલશે જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીને પણ પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ તેમજ અંબાજી ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી કૌશિક મોદીના નેતૃત્વમાં સમગ્ર અંબાજીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અંબાજી ગ્રામ પંચાયત અને સત્તામંડળની સફાઈ એજન્સીના કર્મચારીઓએ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. લાખોની સંખ્યામાં યાત્રિકોની આવન-જાવન ધરાવતા આ યાત્રાધામમાં સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે અગાઉ બેઠક યોજવામાં આવી હતી. દુકાનદારોને સફાઈ અભિયાનથી માહિતગાર કરી સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
આ કાર્યક્રમમાં અંબાજી ગ્રામ પંચાયત, અંબાજી વિકાસ વિસ્તાર સત્તા મંડળ અને અંબાજી મંદિરના કર્મચારીઓએ હાજરી આપી હતી. સૌને યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.