- સુરત રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે તમામ ટ્રનો ઊધના સ્ટેશને સ્ટોપ કરતી હતી,
- હવે એપ્રિલથી 115 ટ્રનો સુરત સ્ટેશને જ સ્ટોપ કરશે
- હવે સુરતવાસીઓને ઉધના સુધી જવું નહીં પડે
સુરતઃ શહેરના રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે પ્રવાસીઓ માટે રેલવે સ્ટેશન બંધ કરવામાં આવ્યું હતુ. અને તેના માટે ઉધના સ્ટેશન પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ ટ્રેનોને ઊધના સ્ટેશને કામચલાઉ સ્ટોપેજ અપાયું હતું. હવે સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે અને ત્રણનું કામ પૂર્ણ થતાં આગામી તા. 1લી એપ્રિલથી બન્ને પ્લેટફોર્મ ખૂલ્લા મુકાતા ફરીવાર સુરતનું રેલવે સ્ટેશન પ્રવાસીઓથી ધમધમી ઊઠશે.
સુરત શહેરના રેલવે સ્ટેશન પર 24 કલાક ટ્રેનોની અવર-જવર રહેતી હોય છે. હાલ રેલવે સ્ટેશનના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જેમાં પ્લેટફોર્મ નંબર બે અને ત્રણનું કામ પૂર્ણ થતાં હવે 1લી એપ્રિલથી ફરી રેલવે સ્ટેશન પ્રવાસીઓથી ધમધમતુ થશે. સુરત રેવલે સ્ટેશન પરથી અવર-જવર કરતી 115 ટ્રેનોમાં 97 એકસપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો છે. જ્યારે 18 મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાપ્તિલાઈન પર આવતી-જતી 25 એટલે કે વાયા ઉધના થઈને તાપ્તિલાઈન પર જતી ટ્રેનો સુરતને બદલે પહેલી એપ્રિલ બાદ પણ ઉધના રેલવે સ્ટેશને જ થોભશે. 1 એપ્રિલથી મોટાભાગની ટ્રેનો ફરીથી સુરત રેલવે સ્ટેશને જ થોભશે એટલે હજારો મુસાફરોને મોટી રાહત થઈ જશે.
રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનાથી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી બંને પ્લેટફોર્મ પ્રવાસીઓની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ, કામગીરી પૂર્ણ થઈ જતાં હવે પહેલી એપ્રિલથી બંને પ્લેટફોર્મ પ્રવાસીઓની અવરજવર માટે ખોલી દેવાશે. જેથી હંગામી ધોરણે ઉધના સ્ટેશને શિફ્ટ કરાયેલી ટ્રેનોને ફરીથી સુરત શિફ્ટ કરી દેવાશે. જોકે, પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ ઉપર શેડની કામગીરી બાકી હોવાથી ધગધગતા તાપમાં મુસાફરોએ ટ્રેનની રાહ જોવાની નોબત આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, ટ્રેન નંબર 22827-28 સુરત-પુરી વીકલી સુપરફાસ્ટ અને 13425-26 સુરત-માલદા ટાઉન વીક્લી એક્સપ્રેસ ટ્રેન અગાઉ સુરત રેલવે સ્ટેશનથી ઉપડતી હતી. હાલમાં આ બંને ટ્રેન ઉધનાથી ઉપડી રહી છે. હવે અન્ય ટ્રેનોને 1લી એપ્રિલથી સુરત શિફટ કરાઈ રહી છે પરંતુ, સુરત-પુરી અને સુરત-માલદા ટાઉન ટ્રેન ઉધનાથી જ દોડાવવા નિર્ણય લેવાયો છે. આ બંને ટ્રેન ઉધનાથી જ ઉપડશે અને પરત ફરતી વેળા ઉધના જ અટકાવી દેવાશે. હંગામી ધોરણે ઉધના સ્ટેશન ખાતે ઊભી રહેતા મોટાભાગના મેલ, એક્સપ્રેસ, સુપરફાસ્ટ અને મેમુ ટ્રેનો સુરત સ્ટેશને થોભશે. ફક્ત તાપ્તિલાઈન પરથી આવતી અને અમદાવાદ તરફ જતી 25 ટ્રેનોને ઉધના સ્ટોપેજ આપવા નિર્ણય લેવાયો છે. બીજી તરફ 12936-35 બાન્દ્રા ટર્મિનસ ઇન્ટરસિટી, 19005-06 ભુસાવલ-સુરત એક્સપ્રેસ, 09065-66 સુરત-છપરા ક્લોન, 19045 સુરત-છપરા તાપ્તિગંગા એક્સપ્રેસ, 22947-48 સુરત-ભાગલપુર, 20925-26 સુરત-અમરાવતી સુપરફાસ્ટ ટ્રેન સુરતને બદલે ઉધના રેલવે સ્ટેશન પર જ થોભશે. આ ટ્રેનોને ઉધનાથી જ ઓપરેટ કરવા નિર્ણય લેવાયો છે. આ ટ્રેનોમાં જનારા મોટાભાગના મુસાફરો ભેસ્તાન, સચિન, પાંડેસરા વિસ્તારના છે. તેમજ તેઓને ઉંધના સ્ટેશન નજીક પડે છે. તેમજ આ ટ્રેનોને બેથી ત્રણ કલાક પહેલા પ્લેટફોર્મ પર મૂકી દેવામાં આવે છે. જેથી કરીને મુસાફરો સરળતાથી ટ્રેનમાં બેસી શકે. હાલમાં સુરત સ્ટેશન કામ ચાલી રહ્યું હોવાથી આ ટ્રેનોને ઉધનાથી જ દોડાવવા નિર્ણય લેવાયો છે.