
- સફાઈ કર્મચારીઓ બન્યા ત્રિંશોપચાર પૂજાના યજમાન,
- સોમનાથ ટ્રસ્ટ દ્વારા અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા અનોખી પહેલ,
- યજ્ઞશાળામાં વિધિવત હનવ કરાયો
વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શારદીય નવરાત્રી અને વિજયાદશમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિના નવ દિવસ દરમિયાન સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર નવરાત્રિમાં સોમનાથ મહાદેવને માતા શક્તિના વિવિધ સ્વરૂપો દર્શાવતા દેવી દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યા હતા. અષ્ટમીના દિવસે સોમનાથ ટ્રસ્ટના વાઘેશ્વરી મંદિર ખાતે અને સોમનાથ મંદિરની યજ્ઞશાળામાં વિધિવત હવન કરવામાં આવ્યું હતું.
વિજયાદશમીના દિવસે ટ્રસ્ટના શ્રીરામ મંદિર ખાતે પ્રભુ રામને પ્રિય એવી ત્રિંશોપચાર પૂજા કરી નવરાત્ર મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ, અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અંત્યોદયના સંકલ્પને સાકાર કરતાં ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં સમગ્ર સોમનાથ તીર્થને નિર્મળ રાખનાર સફાઈ કર્મચારીઓને આ પૂજાના યજમાન બનાવ્યા હતા. સફાઈ કર્મચારીઓને પૂજાના યજમાન બનાવીને ટ્રસ્ટે સમાજના આ મહત્વપૂર્ણ આંશને ઉચિત સન્માન આપ્યું હતું. પ્રભુ શ્રીરામ જન જનના ઇષ્ટ છે અને સફાઈ કર્મચારીઓ સમગ્ર તીર્થને નિર્મળ રાખીને આ દિવ્ય સેવાનું કાર્ય કરે છે. જેથી પ્રભુ શ્રીરામના પૂજનનો વિશેષ અવસર એમની યજમાનીમાં ઉજવવામાં આવ્યો હતો.
સોમનાથમાં સૌહાર્દની ભવ્ય પરંપરા: સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભવ્ય ઉજવણીએ સોમનાથની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાને વધુ મજબૂત બનાવી છે. સફાઈ કર્મચારીઓને પૂજાના યજમાન બનાવીને ટ્રસ્ટે સમાજમાં સમાનતા અને એકતાનું સંદેશો આપ્યો હતો.