સોશિયલ મીડિયા પોસ્ટ દૂર કરવા અંગેના સુધારેલા નિયમો 15 નવેમ્બરથી લાગુ પડશે
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને વધુ પારદર્શક, જવાબદાર અને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) એ માહિતી પ્રૌદ્યોગિકી (મધ્યસ્થ માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021ના નિયમ 3(1)(D) માં સુધારા કર્યા છે. આ સુધારેલા નિયમો 15 નવેમ્બર 2025થી અમલમાં આવશે.
નવા સુધારેલા નિયમો અનુસાર, હવે કોઈપણ સોશિયલ મીડિયા પોસ્ટ અથવા સામગ્રી દૂર કરવાનો આદેશ ફક્ત સંયુક્ત સચિવ (Joint Secretary) અથવા સમકક્ષ પદ ધરાવતા વરિષ્ઠ અધિકારી દ્વારા જ આપી શકાશે. જો એવા અધિકારીની નિમણૂક ન હોય, તો આ સત્તા ડિરેક્ટર અથવા સમકક્ષ અધિકારી પાસે રહેશે. પોલીસ સંબંધિત મામલાઓમાં, પોસ્ટ દૂર કરવાનો આદેશ માત્ર પોલીસ ઉપ મહાનિરીક્ષક (DIG) અથવા તેનાથી ઉચ્ચ અધિકારી જ આપી શકશે. આ ઉપરાંત અધિકારીઓને એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ દ્વારા આપવામાં આવેલા આદેશોમાં કાયદેસર અધિકાર, સંબંધીત સામગ્રીની સ્વરૂપ અને તેની URL વિગતો સ્પષ્ટ રીતે દર્શાવેલી હોય.
નિયમ 3(1)(D) હેઠળ આપવામાં આવેલા દરેક આદેશની માસિક સમીક્ષા સંબંધિત રાજ્ય અથવા કેન્દ્ર સરકારના સચિવ સ્તરના અધિકારી દ્વારા કરવામાં આવશે. આથી તે સુનિશ્ચિત થશે કે સોશિયલ મીડિયા પરની કાર્યવાહી માત્ર જરૂરી અને કાયદેસર પ્રસંગોમાં જ થાય અને કોઈ અતિશયતા ન બને.
મંત્રાલયે જણાવ્યું છે કે આ સુધારાઓનો હેતુ નાગરિકોના બંધારણીય અધિકારો અને સરકારની નિયમનકારી સત્તાઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવો છે. તેમજ આ ફેરફારો માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000 હેઠળના નિયમોને વધુ મજબૂત બનાવે છે અને નૈસર્ગિક ન્યાયના સિદ્ધાંતોને જાળવી રાખે છે. સરકારના કહેવા મુજબ, નવા નિયમો સોશિયલ મીડિયા પરની ગેરકાયદેસર સામગ્રી દૂર કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી લાવશે, તેમજ કાયદા અમલમાં વધુ સ્પષ્ટતા કરશે


