
ભારતનું આકરુ વલણ જોઈને પહેલગામ હુમલાની જવાબદારી લેનાર આતંકવાદી સંગઠન TRFએ હવે સંડોવણીનો ઈન્કાર કર્યો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે, બીજી તરફ મોદી સરકારે આકરુ વલણ અપનાવીને પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી છે. બીજી તરફ હવે આતંકવાદીઓ અને તેમનું આકા પાકિસ્તાન હવે બચાવની સ્થિતિમાં આવી ગયું છે. દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલા પછી, લશ્કર કમાન્ડર સૈફુલ્લાહએ હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પણ એક નિવેદન જારી કરીને પહેલગામ હુમલાથી પોતાને દૂર રાખ્યું છે. જૂથે એક પોસ્ટ જારી કરીને કહ્યું કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) પહેલગામ ઘટનામાં કોઈપણ સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કરે છે. હુમલા માટે TRF ને દોષ આપવો ખોટું છે. TRF એ પોસ્ટમાં લખ્યું, ‘પહલગામમાં હુમલા પછી તરત જ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પરથી એક ખોટો સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો. તપાસ બાદ જાણવા મળ્યું કે તે સાયબર હુમલાને કારણે પોસ્ટ કરવામાં આવ્યું હતું. અમે ઉલ્લંઘન નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. એટલું જ નહીં, આતંકવાદી સંગઠને આ સાયબર હુમલા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓને પણ જવાબદાર ઠેરવી હતી.
પહેલગામ હુમલા પછી, લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી કમાન્ડર સૈફુલ્લાહ કસુરીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેણે આતંકવાદી હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો. વીડિયોમાં તેમણે કહ્યું કે અમે આ હુમલાની નિંદા કરીએ છીએ. આનો અમારી સાથે કોઈ સંબંધ નથી. ભારતના મીડિયા અને સરકારે કોઈ પણ પુરાવા વિના અમને અને પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યા છે. આ એક ષડયંત્ર છે. એટલું જ નહીં, તેમણે ભારતને યુદ્ધ દુશ્મન ગણાવ્યું અને કહ્યું કે ભારત પાકિસ્તાનનો નાશ કરવા માંગે છે. તેમણે કાશ્મીરમાં 10 લાખ સૈનિકો મોકલીને યુદ્ધનું વાતાવરણ ઉભું કર્યું છે. કસુરીના આ નિવેદનને ડેમેજ કંટ્રોલના પ્રયાસ તરીકે ગણવામાં આવી રહ્યું છે, જેથી પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનો પર આંતરરાષ્ટ્રીય દબાણ ઓછું કરી શકાય. કસુરી કહે છે કે પહેલગામમાં હુમલો ભારતે પોતે જ કર્યો છે અને તે તેના માટે જવાબદાર છે. આ તેનું કાવતરું છે.
પહેલગામ આતંકવાદી હુમલો મંગળવારે (22 એપ્રિલ) થયો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં 2 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના પછી સરકાર તરત જ હરકતમાં આવી ગઈ. તેમણે આરોપી આતંકવાદીઓને પકડવા માટે તાત્કાલિક સુરક્ષા બેઠક યોજી, જેમાં પીએમ મોદીએ અધિકારીઓને સૂચનાઓ આપી. તમને જણાવી દઈએ કે પીએમ મોદી તેમના સાઉદી અરેબિયા પ્રવાસને અધવચ્ચે છોડીને પાછા ફર્યા હતા, ત્યારબાદ તેમણે એરપોર્ટ પર જ વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA વડા અજિત ડોભાલ સાથે વાતચીત કરી હતી.