હિંમતનગર, 13 માર્ચ 2026: The fire in Idar hill સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરોમાં આગ લાગતા પર્યાવરણ અને વન્યજીવોને બચાવવા ઈડર અને હિમતનગર ફાયરના જવાનો દોડી આવ્યા હતા. અને 27000 લીટર પાણીનો સતત મારો ચલાવીને 12 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

આ બનાવની વિગત એવી છે કે, ઈડરના ડૂંગરોમાં કોઈ કારણસર આગ લાગી હતી. અને પવનને લીધે આગ આજુબાજુના ઝાડી-ઝાંખરામાં પ્રસરી હતી, આ લાગ્યાની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા. અને ઈડર તેમજ હિંમતનગર ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ગુરુવારે બપોરે લાગેલી આગને ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે 12 કલાકની જહેમત બાદ રાત્રે બુઝાવી હતી. ઈડર ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ચાર ફાયર ફાઈટર અને 20 ફાયર ટીમના જવાનોએ ખડેપગે રહીને 12 કલાક સુધી કામગીરી કરી હતી. આ દરમિયાન કુલ 27 હજાર લીટર પાણીનો મારો ચલાવીને રાત્રે 3 વાગ્યા આસપાસ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
ઈડર વન વિભાગના RFO એ જણાવ્યું કે, આગ લાગવાના કારણ અંગે તપાસ કરી રહ્યા છીએ. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ડુંગર વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતો નથી, પરંતુ ખાનગી માલિકીનો છે. તેથી, આગ બુઝાવવાનો વિષય ફાયર વિભાગનો છે. ઈડરના ડુંગરોમાં વારંવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે, જે પર્યાવરણ અને વન્યજીવો માટે ચિંતાનો વિષય છે.


