
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાશે. ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલા અંગે સંસદનું ખાસ સત્ર બોલાવવાની વિપક્ષની સતત માંગ વચ્ચે સરકારે આ જાહેરાત કરી છે. સંસદના ચોમાસુ સત્રમાં વીમા સુધારા બિલ રજૂ કરી શકાય છે. આ બિલ વીમા ક્ષેત્રમાં FDI ની મર્યાદા 100 ટકા સુધી વધારવા માટે તૈયાર છે. મીડિયા અહેવાલો અનુસાર, બિલનો ડ્રાફ્ટ તૈયાર છે અને તેને ટૂંક સમયમાં મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી પછી, નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગ સંસદમાં બિલ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.
અગાઉ, સંસદનું બજેટ સત્ર બે ભાગમાં યોજાયું હતું. પહેલું સત્ર 31 જાન્યુઆરીએ શરૂ થયું હતું અને 13 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. સંસદના બજેટ સત્રનો બીજો ભાગ 10 માર્ચે શરૂ થયો હતો અને 4 એપ્રિલે સમાપ્ત થયો હતો. બજેટ સત્રમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે ગૃહની અત્યાર સુધીની સૌથી લાંબી બેઠક 3 એપ્રિલ, ગુરુવારના રોજ યોજાઈ હતી. તે 3 એપ્રિલે સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી અને ૪ એપ્રિલે સવારે 4.02 વાગ્યા સુધી ચાલી હતી. ઉપલા ગૃહમાં રેકોર્ડ 49 ખાનગી સભ્યોના બિલ પણ રજૂ કરવામાં આવ્યા હતા. કુલ મળીને ગૃહ કુલ 159 કલાક કામ કર્યું, જેમાં મધ્યરાત્રિ પછીના 4 કલાકથી વધુનો સમાવેશ થાય છે. આ સત્રની ઉત્પાદકતા 119 ટકા હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે સંસદના નીચલા ગૃહમાં 26 બેઠકો યોજાઈ છે. તેમણે કહ્યું હતું કે કુલ ઉત્પાદકતા લગભગ 118 ટકા હતી. તેમણે માહિતી આપી હતી કે બજેટ સત્ર દરમિયાન 10 સરકારી બિલ રજૂ કરવામાં આવ્યા હતા. વકફ સુધારા બિલ અને મુસ્લિમ વકફ (નાબૂદી) બિલ સહિત 16 બિલ પસાર થયા.