અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે આજે દાહોદ-અમદાવાદ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. દાહોદ-અમદાવાદ નેશનલ હાઈવે પર મોડી રાત્રે લીમખેડાના ઢઢેલા નજીક ટર્નિગ પાસે પૂરફાટ ઝડપે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ વીજળીના થાંભલે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લાશોને ટ્રેક્ટરથી ખેંચી બહાર કાઢવી પડી હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, દાહોદ-અમદાવાદ નેશનલ હાઈવે પર મહારાષ્ટ્ર પાસિંગની એક એસયુવી કાર લીમખેડાના નજીક ઢઢેલા ટર્નિંગ પાસે ડિવાઈડર સાથે અથડાયા બાદ વીજળીના થાંભલા સાથે અથડાતા કારનો ભુક્કો બોલી ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે થાંભલાના પણ ટુકડા થઇ હતા. આ ગંભીર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતકોની ઓળખ મહારાષ્ટ્રના પૂનાના અભિષેક યાદવ અને સચિન બિરાદાર તરીકે થઇ છે. બંન્નેના મૃતદેહોને લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે સારવાર દરમિયાન મૃત્યુ પામેલા ચાલકના મૃતદેહને દાહોદ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
દાહોદ-અમદાવાદ હાઈવે પર મધરાતે કારનો અકસ્માત થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. લોકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ અકસ્માત એટલો ગંભીર હતો કે લાઇટના થાંભલાના પણ ટુકડા થઇ ગયા હત. જ્યારે કારનું તો પડીકુ વળી ગયું હતું. રાત્રે ટ્રેક્ટરથી બાંધીને લાશોને બહાર કાઢી હતી. કારના પાર્ટસ દુર દુર સુધી ખેતરોમાં જઈને પડ્યા હતા. કારનું એન્જિત તો કારથી લગભગ 100 ફૂટ દુર જઇને પડ્યું છે. આ ઉપરાંત પડીકુ વળી ગયેલી કારમાંથી જે જગ્યાએથી મૃતદેહ બહાર કાઢ્યા ત્યાં પડેલા લોહીના ડાઘ જોઇને પણ અકસ્માતની ગંભીરતા સમજી શકાય છે.


