અમદાવાદ, 12 એપ્રિલ 2026: Robbed of one lakh શહેરમાં રિક્ષામાં પ્રવાસીઓને લૂંટવાના બનાવો બનતા શહેર પોલીસ કમિશનરે દરેક રિક્ષા પર જે તે પોલીસ સ્ટેશનના સ્ટીકર લગાવવાનો આદેશ કર્યો હતો. જેથી રિક્ષાની ઓળખ થઈ શકે, પણ રિક્ષાઓ પર સ્ટીકર લગાવ્યા બાદ પણ લૂંટના બનાવો બની રહ્યા છે. શહેરમાં પાલડીથી રિક્ષામાં વાડજ જઈ રહેલા સિનિયર સિટિઝનને રિક્ષામાં બેઠેલા ત્રણ શખસોએ છરીથી અણીએ રૂપિયા એક લાખની લૂંટ ચલાવીને પલાયન થઈ ગયા હતા. આ બનાવમાં એલીસબ્રિજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વાડજ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝનને પૈસાની જરૂર હોવાથી ઉધાર પૈસા લેવા રાજકોટ ખાતે રહેતા બહેનના ઘરે ગયા હતા. અને સિનિયર સિટિઝન રૂપિયા એક લાખ ઉધાર લઈને અમદાવાદ પરત આવ્યા હતા અને વહેલી સવારે પાલડીથી રિક્ષામાં બેસીને વાડજ તરફ આવી રહ્યા હતા. ત્યારે રિક્ષામાં બેઠેલા 3 શખ્સોએ વૃદ્ધને છરી બતાવી એક લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જે મામલે સિનિયર સિટિઝને એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના જુના વાડજમાં રહેતા જશવંતભાઈ સોલંકી મોટેરા ડીમાર્ટ સામે ફેબ્રિકેશનનો વેપાર કરે છે. જશવંતભાઈને પૈસાની જરૂર હોવાથી તેઓ રાજકોટ ખાતે તેમના બહેનના ઘરે ઉધાર પૈસા લેવા માટે ગયા હતાં. રાજકોટથી એક લાખ લઈને તેઓ એસટી બસમાં અમદાવાદ આવ્યા હતા. વહેલી સવારે 5 વાગ્યે તેઓ પાલડી ખાતે બસમાંથી ઉતર્યા હતાં. જે બાદ તેમને વાડજ જવાનું હોવાથી એક શટલ રિક્ષામાં બેઠા હતા. આ રિક્ષામાં પહેલાથી જ પાછળની સીટ ઉપર ત્રણ પેસેન્જર બેઠા હતાં. જશવંતભાઈ રિક્ષામાં બેસીને પાલડી ચાર રસ્તાથી એલિસબ્રિજ થઈ વાડજ જવા નીકળ્યા હતાં. જશવંતભાઈ એલીસબ્રીજ દેવનંદન મોલ નજીક પહોંચતા જ પાછળની સીટમાં બેઠેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્સે કમરના ભાગેથી છરી કાઢી જ્યારે બે શખ્સોએ જશવંતભાઈને પકડી રાખ્યા હતાં. જશવંતભાઈને છરી બતાવીને ‘તારા પાસે જે હોય તે આપી દે નહીં તો મારી નાખીશું’ એવું કહેતા જશવંતભાઈએ તેમના ખિસ્સામાં રહેલા એક લાખ રૂપિયા ડરના કારણે આપી દીધા હતા. ત્યારબાદ તેમને રિક્ષામાંથી દેવનંદન મોલ પાસે ઉતારીને રિક્ષા નહેરુનગર તરફ જતી રહી હતી. સમગ્ર મામલે જશવંતભાઈએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.


