1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશલપર-નલિયા સુધીનો વર્ષોથી અટવાયેલો બ્રોડગેજ પ્રોજેક્ટ પૂર્ણ કરાશે, ટેન્ડર જારી કરાયાં
દેશલપર-નલિયા સુધીનો વર્ષોથી અટવાયેલો બ્રોડગેજ પ્રોજેક્ટ પૂર્ણ કરાશે, ટેન્ડર જારી કરાયાં

દેશલપર-નલિયા સુધીનો વર્ષોથી અટવાયેલો બ્રોડગેજ પ્રોજેક્ટ પૂર્ણ કરાશે, ટેન્ડર જારી કરાયાં

0
Social Share

ગાંધીધામઃ કચ્છમાં છેલ્લા બે દાયકાથી સારોએવો વિકાસ થયો છે. જિલ્લામાં બે મોટા પોર્ટ આવેલા છે. અને તેના લીધે માલ પરિવહન ક્ષેત્રે પણ જિલ્લો મોખરે રહ્યો છે. રોડ-રસ્તાઓના વિકાસની સાથે રેલવેની સુવિધા પણ વધારવામાં આવી રહી છે. જેમાં ભુજ નલિયા બ્રોડગેજ પ્રોજેકટ પીપીપી મોડેલની આંટીઘૂંટીમાં અટવાયેલો હતો. તાજેતરમાં ભુજ દેશલપર સુધી માલગાડી દોડી હતી, પરંતુ ત્યારથી આગળ નલિયા સુધી કામ ખોરંભાયેલું હતું. આખરે 13 વર્ષ બાદ હવે  રેલવે  દ્વારા  આ અધુરો પ્રોજેકટ પૂરો કરવા નિર્ણય લેવાયો છે અને આ માટેનાં ટેન્ડર પણ ગાંધીધામ એરિયા ઓફિસ દ્વારા જારી કરાયાં છે. કચ્છના છેવાડાનો દરિયાઈ વિસ્તાર રેલવે સેવા થકી રાષ્ટ્ર સાથે હવે સીધી રીતે જોડાશે.’ આ નિર્ણયને ગાંધીધામ ચેમ્બર દ્વારા આવકારવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામ ક્ષેત્રીય કચેરીના’ બાંધકામ વિભાગના ડેપ્યુટી ચીફ એન્જીનિયર દ્વારા દેશલપરથી નલિયા સુધીનાં ગેજ રૂપાંતરણનાં અધુરાં કામ’ માટેનાં ટેન્ડર જારી કરાયાં છે. કુલ 155 કરોડના ખર્ચે આ’ અધુરી કામગીરી રેલવે દ્વારા જ પૂરી કરાશે. રેલવે ટ્રેક બીછાવવો, માઈનોર બ્રીજ, પી.સી.સી. સ્લેબ, આર.સી.સી.પાઈપ, આર.સી.સી. બોકસ બ્રીજ, પ્રોટેકશન કામગીરી, સાઈડ ડ્રેન સહિતની કામગીરી માટે ટેન્ડર જારી કરવામાં આવ્યાં છે.આ પ્રોજેકટ 18 મહિનામાં પૂરો કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,વર્ષ 2008માં મંજુર થયેલો ગેજપરિવર્તનનો પ્રોજેકટ રેલવે’ દ્વારા પી.પી.પી. મોડેલના આધારે હાથ ધરાયો હતો. ભુજથી દેશલપર સુધી તો રેલવે લાઈન નખાઈ ગઈ અને કમિશનર ઓફ રેલવે સિકયુરીટીની મંજુરી પણ મળી ગઈ હતી અને તાજેતરમાં જ ભુજથી દેશલપર સુધીની લાઈન ઉપર પ્રથમ માલગાડી દોડી હતી, પરંતુ દેશલપરથી નલિયા સુધીના  બાકી કામનો મુદો ગૂંચવાયો હતો. આ  પ્રોજેકટમાં રેલવે  ઉપરાંત રાજય સરકાર અને સીમેન્ટ કંપનીઓ પણ  જોડાઈ હતી. ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ (જીરાઈડ)ને કામ સોંપાયું હતું. પરંતુ જી.રાઈડને  કોઈ રોકાણકાર મળતો ન હતો, જેના કારણે દેશલપરથી નલિયા સુધીની લાઈનના સ્થળે બાવળની ઝાડીઓ ઉગી નીકળી છે. સંરક્ષણની દ્રષ્ટિને ધ્યાનમાં  રાખીને બાકીનું કામ રેલવે પોતે પુર્ણ કરે તેવી ભલામણ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા રેલવે બોર્ડને કરવામાં આવી હતી તેમજ એક વર્ષ પુર્વે એર કોમોડોર દ્વારા પણ’ રેલવે પોતે આ કામ પુરું કરે તેવો પત્ર પાઠવ્યો હતો. અંતે રેલવે દ્વારા  પોતે જ કામ પુરૂં કરવાનો નિર્ણય લેવાતાં કચ્છ માટે અત્યંત મહત્વના એવા આ પ્રોજેકટ આડેના તમામ ગ્રહણ દુર થઈ ગયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ સેકશન ઉપર થોડુ કામ થયેલું છે એટલે નિયત સમયગાળામાં કામગીરી પુરી  થઈ શકશે. નલિયાની આસપાસ સીમેન્ટ એકમો છે અને સાથો સાથ મુંબઈ વસવાટ કરતા અબડાસાના વતનીઓને સીધી નલિયા સુધીની ટ્રેન સેવાનો  પણ લાભ મળશે. રેલવે દ્વારા કચ્છમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટે કચ્છમાં જંગી  રકમનો ખર્ચ  કરવામાં આવ્યો છે તેમાં હવે  ગેજ રૂપાંતરના અધુરા કામનો પણ સમાવેશ થયો છે. રેલવેના નવા નિયમ મુજબ જે પણ ગેજ રૂપાંતરની કામગીરી કરવામાં આવે તેમાં વિદ્યુતીકરણનો પણ’ સમાવેશ કરવામાં આવે છે દરમિયાન રેલવેના આ નિર્ણયને આવકારતા ગાંધીધામ ચેમ્બર’ ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે ગાંધીધામ ચેમ્બરની વર્ષો જુની નિરંતર રજુઆતોથી સફળતા મળી છે અને આ નિર્ણયથી કચ્છના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code