
- મ્યુનિ,એ કોન્ટ્રાક્ટ આપ્યો પણ એજન્સીએ હજુ કામગીરી શરૂ કરી નથી,
- રોડ પર ટોળેવળીને બેસતા ઢોરને લીધે વાહનચાલકો પરેશાન,
- પ્રતિદિન 10 રખડતા ઢોર પકડવાનો મ્યુનિનો દાવો
ભાવનગરઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોર ટોળેવળીને બેઠેલા જોવા મળી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે. કહેવાય છે. કે, રખડતા ઢોર પકડવાની કામગીરી કોન્ટ્રાકટર એજન્સીએ હજુ શરૂ કરી નથી અને ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.
ભાવનગર શહેરમાં રખડતા ઢોરના પ્રશ્ન વિકટ બનતો જાય છે. રખડતા ઢોરની કામગીરી જે એજન્સીને આપી છે તેણે હજુ કામગીરી શરૂ કરી નથી. હાલ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દરરોજ થોડા થોડા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ મ્યુનિની કામગીરી વચ્ચે પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રખડતા ઢોરના પ્રશ્ને મ્યુનિ.કોર્પોરેશનમાં વારંવાર રજુઆત થયા બાદ તંત્ર જાગે છે અને દેખાડા પુરતી કામગીરી કરવામાં આવતી હોય છે.
ભાવનગર મ્યુનિના એક અધિકારના કહેવા મુજબ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી અમદાવાદની એક એજન્સીને આપી છે પરંતુ એજન્સીના સંચાલકે બિમારી સબબ હજુ સુધી કામગીરી શરૂ કરી નથી તેથી હાલ મ્યુનિ. દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે, મ્યુનિની ટીમ દ્વારા દરરોજ આશરે 10થી 15 રખડતા ઢોર પકડવામાં આવે છે અને ઢોર ડબ્બામાં પુરવામાં આવે છે. એજન્સી દ્વારા થોડા દિવસમાં કામગીરી શરૂ કરવામાં આવશે.
ભાવનગર શહેરના માણેકવાડી, સુભાષનગર, ભરતનગર, ચિત્રા, ઘોઘાગેટ, કાળુભા રોડ, કુંભારવાડા, સંત કવરામ ચોક, માધવ દર્શન, વાઘાવાડી રોડ, કાળાનાળા, સંસ્કાર મંડળ, ઘોઘા જકાતનાકા, ચિત્રા માર્કેટીંગ યાર્ડ, બજાર વિસ્તારની શાકમાર્કેટ, ગંગાજળીયા તળાવ, બંદર રોડ વગેરે વિસ્તારમાં રોડ પર ઢોરના ટોળા જામતા હોય છે, જેના પગલે વાહન ચાલકો, રાહદારીઓ પરેશાની ભાગવી રહ્યા છે. કેટલાક રોડ પર ઢોર બેસી જતા ચાલવાની પણ જગ્યા રહેતી નથી અને વાહન ચાલકોએ ઢોરને કાઢવા માટે ગાડીમાંથી નીચે ઉતરવુ પડતુ હોય છે. શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે ત્યારે મ્યુનિ. પરિણામલક્ષી કામગીરી થાય તેવુ જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે. ઢોરના પગલે રોડ પર અકસ્માતની ભીતિ રહેલી છે ત્યારે મ્યુનિએ વધુમાં વધુ રખડતા ઢોર પકડવાની કામગીરી જરૂરીયાત છે.