
- અભયારણ્યમાં ઘુડખર, રણ લોકડી, વરુ સહિત અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે,
- અભ્યારણ્યમાં વિદેશી રંગબેરંગી પક્ષીઓનું શિયાળા પહેલા જ આગમન,
- 2024ની ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 7,672 નોંધાઈ હતી
સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવતા પ્રવાસીઓનું આગમન થઈ રહ્યું છે. અને દિવાળીના વેકેશન દરમિયાન ઘૂડસર ઉપરાંત રણ લોકડી, વરુ અને અનેક પ્રકારના જંગલી પ્રાણીઓ તેમજ વિદેશી પક્ષીઓના નજારાને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે. કચ્છના નાના રણમાં આશરે 4,953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા અભયારણ્યને નિહાળવા માટે દર વર્ષે હજારો પ્રવાસીઓને આકર્ષાય છે.
કચ્છના નાના રણમાં ઘૂડસર અભયારણ્યમાં ઘુડખર ઉપરાંત રણ લોકડી, વરુ અને અનેક પ્રકારના જંગલી પ્રાણીઓ જોવા મળે છે. શિયાળાની સિઝનમાં અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું પણ આગમન થતું હોવાથી તે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. 2024ની ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 7,672 નોંધાઈ છે, જે સતત વધતી જઈ રહી છે. ઘુડખર અભયારણ્ય કુદરતપ્રેમી અને સાહસપ્રેમી પ્રવાસીઓ માટે આકર્ષણ બની રહે છે. કચ્છ એક એવો જિલ્લો છે જ્યાં રણ, દરિયો અને જંગલ વિસ્તાર એકસાથે જોવા મળે છે. દર વર્ષે અભયારણ્યમાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતાં હોય છે. આ વર્ષે સારા એવા વરસાદથી પાણી ભરાયેલા હોવાથી યાયાવર પક્ષીઓએ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. છારીઢંઢના રણ વિસ્તારમાં સાઈબેરીયાથી કુંજ પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અન્ય પક્ષીઓની વાત કરીએ તો સુરખાબ, પેલિકન, યુરોપિયન રોલર, સમડી, બાજ જેવા યાયાવર પક્ષીઓ પણ કચ્છના મહેમાન બને છે. આ છારીઢંઢ અભયારણ્યની સાથે ઘોરાડ અભયારણ્ય પણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યુ છે.