
- ટ્રાફિકજામમાંથી નિકળતા વાહનચાલકોને દોઢ કલાક સમય વેડફવો પડ્યો,
- ટ્રાફિક જામની સ્થિતિમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો,
- એક કારચાલકે સેફ્ટી કોર્નને તોડતા હાઈવે મરામતની કામગીરીમાં વિક્ષેપ ઊભો થયો
અમદાવાદઃ ટ્રાફિકથી સતત 24 કલાક ધમધમતા રહેતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે રોજિંદી જોવા મળી રહી છે. હાલ વરસાદને કારણે હાઈવે પર ખાડાઓ પડ્યા છે. જેમાં વડોદરા નજીક હાઈવે પર પડેલા ખાડાઓને બુરવાનું કામ ચાલી રહ્યું હતું. તેના લીધે 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. અને ટ્રાફિક જામમાંથી બહાર નિકળતા વાહનચાલકને દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આજે ફરીવાર પાંચ કિલો મીટરનો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. નેશનલ હાઇવે પર દર ચોમાસાની જેમ આ વર્ષે પણ મોટા-મોટા ખાડા પડતા ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે. તંત્ર દ્વારા હાઈવે પર પડેલા ખાડાઓનું સમારકામ પણ ચાલી રહ્યું છે. તેના લીધે વાહનચાલકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. દરમિયાન ટ્રાફિકજામની વચ્ચે બે ટ્રકો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતા બંને ટ્રકચાલકો બાખડી પડતા રોડનું સમારકામ કરતા સુપરવાઇઝરે સમજાવીને બંનેને રસ્તા વચ્ચેથી હટાવ્યા હતાં. એક કારચાલકે રસ્તાની કામગીરી દરમિયાન મુકેલા સેફ્ટી કોર્નને કાર નીચે ઘસડીને લઈ ગયો હતો, જેથી કામગીરીમાં વિક્ષેપ ઊભો થયો હતો. ત્રણ દિવસ પહેલાં પણ જાંબુઆ બ્રિજ પર વાહનોના થપ્પા લાગ્યા હતા અને નેશનલ હાઈવે પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો. રોજ-બરોજની ટ્રાફિકની સમસ્યાને પગલે વાહનચાલકોમાં ભારે રોષ છે. રસ્તાનું કાયમી નિવારણ લાવવા માટે વાહનચાલકોએ માગ કરી છે.
વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે 48 પર કરજણના કંડારી ગામના પાટિયા પાસે નવીન રોડ ઉપરના નાળા પાસે ભૂવો પડતા ટ્રાફિકજામના સર્જાયો છે. નેશનલ હાઇવે 48 ઉપર કંડારી પાસે નવીન બની રહેલ બ્રિજના ડાઈવર્જન રોડ ઉપર નાળા પાસે ભૂવો અને ખાડાઓને લઈ 4 કિલો મીટર સુધીનો ટ્રાફિકજામ સર્જાયો છે. હાલમાં ખાડા પુરવાની કામગીરી પણ ચાલી રહી છે, પરંતુ જેવો વરસાદ પડે છે તેવા ખાડા ફરીથી પડી જાય છે. ચોમાસા દરમિયાન લોકોને મારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરા શહેરમાં હાઈવે નજીક જાંબુવાબ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે, જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી. નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવાબ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યાથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે. તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે એમ ઇચ્છી રહ્યા છે.