
લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંગળવારે કેબિનેટ બેઠક યોજાઈ. આ બેઠકમાં કુલ 15 મહત્વના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સૌથી મોટો નિર્ણય એટલે કે ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સેવા નિગમના ગઠનનો રહ્યો હતો. લોકભવનમાં યોજાયેલી આ બેઠક પછી નગર વિકાસ પ્રધાન અરવિંદકુમાર શર્માએ જણાવ્યું કે, કાનપુર અને લખનઉમાં ઈ-બસ સેવાની શરૂઆત કરવામાં આવશે. નગરીય પરિવહનને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ રજૂ થયો હતો, જેને કેબિનેટની મંજૂરી મળી છે.
શર્માએ વધુમાં જણાવ્યું કે કાનપુર અને લખનઉમાં પ્રાથમિક તબક્કે 10-10 રૂટ પર આ ઈ-બસો દોડાવવામાં આવશે. એક બસની કિંમત અંદાજે 10 કરોડ રૂપિયા રહેશે અને તેનો કરાર 12 વર્ષ માટે લાગુ રહેશે. પ્રારંભિક તબક્કે એક રૂટ પર એક બસ દોડશે, જરૂર પડે તો સંખ્યામાં વધારો કરવામાં આવશે. સરકાર સીધી તેની દેખરેખ કરશે અને ભાડાનું નિયંત્રણ રાખશે. ઉપરાંત, સંસદીય કાર્ય પ્રધાન સુરેશ ખન્નાએ જણાવ્યું કે સરકાર આઉટસોર્સ સેવા નિગમ દ્વારા કામ કરશે.
તેમણે આગળ જણાવ્યું કે, આઉટસોર્સિંગ માટે સરકારએ પારદર્શી પ્રક્રિયાનો અમલ કર્યો છે. આઉટસોર્સ કર્મચારીઓ માટે હવે આરક્ષણની વ્યવસ્થા રહેશે. કર્મચારીઓને ત્રણ વર્ષ માટે રાખવામાં આવશે, મહિને 26 દિવસ કામ લેવાશે અને તેમને 15,000 રૂપિયા વેતન આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ રહેશે કે, આ કર્મચારીઓને સીધું સંપૂર્ણ વેતન તેમના બેંક ખાતામાં જમા કરાશે.