1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી 10.5 ફુટે પહોંચી, તંત્ર બન્યું એલર્ટ
વડોદરામાં વિશ્વામિત્રી નદીની  જળ સપાટી 10.5 ફુટે પહોંચી, તંત્ર બન્યું એલર્ટ

વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી 10.5 ફુટે પહોંચી, તંત્ર બન્યું એલર્ટ

0
Social Share
  • હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લીધે આગોતરા પગલાં લેવાયા,
  • મ્યુનિસિપલ કમિશનરે કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની મુલાકાત લીધી,
  • ડભોઇમાં વરસાદના કારણે સીતપુર શાળામાં પાણી, 4 ગામો સંપર્ક વિહોણા

વડોદરાઃ  શહેર અને જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તેના લીધે શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળસપાટી 10.5 ફુટે પહોંચી છે. શહેરમાં ગત ચોમાસા જેવી જળબંબોળની સ્થિતિ ન સર્જાયા તે માટે મ્યુનિ.નું તંત્ર એલર્ટ બન્યુ છે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુએ કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની મુલાકાત લીધી હતી.

રાજ્યના  હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વડોદરા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. કલેકટર ડો. અનિલ ધામલિયાએ વડોદરા જિલ્લામાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતી અને તકેદારીના પૂરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 10.5 ફૂટે પહોંચી છે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુએ કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ વરસાદ અમારા માટે લાઇવ ટેસ્ટિંગ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની થયેલી કામગીરીની કસોટી થશે. વડોદરામાં પુર ન આવે તેવી ભગવાનને પ્રાર્થના. જોકે, સંભવિત કોઇપણ સ્થિતિને પહોંચી વળવા ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર છે. આજવા સરોવરમાં ડી વોટરિંગ પંપ બેસાડવામાં આવશે. જેથી ઓવરફ્લોની સ્થિતિ પહેલાં સ્થળાંતર કરી શકાય. વિશ્વામિત્રીનાં પાળા માટીનાં છે એટલે તે તો ધોવાશે. પણ પાળાનું ધોવાણ એ ચિંતાનો કોઇ વિષય નથી. વિશ્વામિત્રીની એક-એક ફુટની સ્થિતિ પર અમારી નજર છે.

ડભોઇ પંથકમાં સતત વરસતા વરસાદને પગલે સીતપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા હતા. શાળાના ઓરડામાં પાણી ભરાતા બાળકોને રાજા આપી દેવાઈ હતી, અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાળામાં પાણીનો નિકાલ ન થવાને કારણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર થઈ હતી. આ ઉપરાંત ઓરસંગ નદીમાં પૂરની પરિસ્થિતિ વિકટ બની હતી. નદીમાં પાણીનો વધારો થતા 4 ગામો જેમાં આસોદરા, આશગોલ, અરણિય, અને નાગડોલ ગામનો સંપર્ક તૂટ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code