- કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને કેબીન કાપીને બહાર કઢાયો,
- ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા,
- અકસ્માતમાં ટ્રકના આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો
ગાંધીનગરઃ જિલ્લાના ચિલોડા-હિંમતનગર હાઇવે પર મધરાતે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઈવે સાઈડ પર ઊભેલી ખાનગી ટ્રાવેલ્સ બસને પાછળથી પૂરઝડપે આવેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં લકઝરી બસમાં સવાર 10થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. જ્યારે ટ્રકચાલક કેબિનમાં ફસાતા તેને ફાયરટીમે કેબિન કાપીને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત સર્જાતા જ સ્થાનિકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતાં.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ચિલોડા-હિંમતનગર હાઇવે પર મધરાતે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સ બસ ગાંધીનગર નજીક હોટેલ પાસે સર્વિસ રોડ પર ઊભી હતી. લકઝરી બસમાં સવાર મુસાફરો નડિયાદ અને અમદાવાદના હતા અને તેઓ રાજસ્થાનના ખાટુ શ્યામજી, પુષ્કર, શ્રીનાથજી, અને સાંવરિયા શેઠના દર્શન માટે જઈ રહ્યાં હતા. ત્યારે જ પાછળથી ધસમસતી આવેલી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા ટ્રાવેલ્સ બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રાવેલ્સમાં સવાર 10થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં ટ્રકના આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો અને ટ્રક ચાલક કેબિનમાં ફસાયો હતો. તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અને કેબિન કાપીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ચિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ઉલ્લેખનીય છેકે ચિલોડા-હિંમતનગર હાઇવે પર અકસ્માતોની આ કોઈ નવી ઘટના નથી. અવારનવાર આ રોડ પર ગમખ્વાર અકસ્માતો સર્જાતા રહે છે. ભૂતકાળમાં પણ આ હાઈવે પર ઓવરસ્પીડ અને બેફિકરાઈથી ડ્રાઇવિંગને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાઈવે પર આવેલી હોટલો અને ઢાબાઓને કારણે ટ્રક અને ડમ્પર ચાલકો નિયમોની અવગણના કરીને આડેધડ રીતે પોતાના ભારે વાહનો સર્વિસ રોડ પર કે હાઈવેની કિનારી પર ઊભા રાખી દેતા હોય છે.


